વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત લોહાણા સેવા મંડળ આયોજિત સમસ્ત લોહાણા સમાજના દીકરા-દીકરીઓ માટે અપરિણીતોનો મેળાવડો સગપણનો સેતુ નામે વિશેષ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં વાલીઓની ઉપસ્થિતિમાં એકબીજાને જોઈ, ઓળખી અને પારખવા માટે 450થી વધુ યુવક-યુવતીઓએ મેળાવડામાં ભાગ લીધો હતો.
વડોદરા શહેરના શ્રી લોહાણા સેવા મંડળ કારેલીબાગ દ્વારા ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલ સોના પાર્ટી પ્લોટ ખાતે ગત રવિવારે અપરિણીતોનો સગપણનો સેતુ કાર્યકમ સાચા અર્થમાં સાર્થક બની રહ્યો હતો. ગુજરાતભરમાંથી લોહાણા સમાજના 450થી વધુ દીકરા દિકરીઓ આ પરિચય મેળામાં પોતાના માતા-પિતા સાથે સહભાગી બન્યા હતા. યુવક યુવતીઓએ સમાજ દ્વારા આયોજીત આ મેળાવડાને આવકારી તેની સરાહના કરી હતી. વાલીઓની હાજરીમાં એકમેકને જોવા, સમજવા, જાણવા અને પારખવા આ પરિચય મેળાવડો ખૂબ જ જરૂરી યુવક યુવતીઓએ ગણાવ્યો હતો. કાર્યકમની શરૂઆત દીપ પ્રાગટયથી કરાયા બાદ મહાનુભવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમાજના અપરણિત યુવક યુવતીઓએ મંચ ઉપર આવી પોતાનો પરિચય આપ્યો હતો. જે બાદ સમાજના અપરણિત દીકરા-દીકરીઓની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે કારેલીબાગ લોહાણા સેવા મંડળના પ્રમુખ રાજુ ઠક્કર, મનોજ ઠક્કર, ચેરમેન સુનિલ ઠક્કર, સંયોજક પીયૂષ ઠક્કર, સહ સંયોજક દત્તુ ઠક્કર અને મંત્રી રાજુ ઠક્કર સહિતના આગેવાનો દ્વારા આ પરિચય મેળાવડાનું આયોજન કરાયું હતું. જોકે, 2 વર્ષ અગાઉ પ્રથમ વખત આયોજિત આવા જ કાર્યકમમાં સમાજના 250થી વધુ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો.