વલસાડ જિલ્લાના ખેરલાવ ગામે વેલસ્‍પન ફાઉન્‍ડેશનના “વેલનેતૃત્‍વ” આરોગ્‍ય પ્રોજેકટ અંતર્ગત સ્‍વાસ્‍થ્‍ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.

વલસાડ જિલ્લાના વેલસ્‍પન ફાઉન્‍ડેશને જિલ્લાના ૩૦ ગામોમાં વેલનેતૃત્‍વ નામનો આરોગ્‍ય પ્રોજેક્‍ટ અમલમાં મૂક્‍યો છે. આ પ્રોજેક્‍ટનો ઉદ્દેશ લક્ષિત વિસ્‍તારમાં એકંદર આરોગ્‍ય, સ્‍વચ્‍છતા અને સ્‍વચ્‍છતા સંબંધિત પ્રથાઓને સુધારવા ઉપરાંત આરોગ્‍ય પ્રથાઓ અને જોખમી પરિબળો, કુપોષણ, એનિમિયા, સ્‍તન અને સર્વિક્‍સ કેન્‍સરના ચિહ્નો અને લક્ષણો વિશે જ્ઞાન આપવા માટે જનસમુદાયમાં જાગૃતિ પેદા કરવાનો છે. આ પ્રોજક્‍ટ અંતર્ગત સામૂહિક સ્‍તરે જનસમુદાયને એકત્રિત કરવા માટે ખેરલાવ ગામમાં વેલનેતૃત્‍વ સ્‍વાસ્‍થ્‍ય સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ સહિત અન્‍ય લાભાર્થીઓ હાજર હતાં. સ્‍વાસ્‍થ્‍ય સંમેલનના આયોજન દ્વારા આરોગ્‍ય તપાસ, એનિમિયાની તપાસ, કુપોષણ અને આરોગ્‍ય મહેંદી જેવી નવીન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. બાળકો તેમની પ્રારંભિક વધતી ઉંમરથી જ પોષક આહારનું મૂલ્‍ય સમજી શકે તે માટે ખાસ કરીને કેટલીક રમતોનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં વલસાડના મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ. અનિલ પટેલ, મદદનીશ ડૉ. હસમુખ પટેલ, વેલસ્‍પન વાપીના પ્રેસિડન્‍ટ સંજય કાનુનગો, ડૉ. એ.કે.સિંહ, પારડી તાલુકાના ડૉ. પ્રકાશ રાઠોડ, ખેરલાવના સરપંચ મયંકભાઈ તથા વેલસ્‍પનના અન્‍ય વરિષ્‍ઠ પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.