-
ભરૂચમાં પાણીનો પ્રશ્ન
-
વોર્ડ નંબર 9-10માં પાણીનો પ્રશ્ન
-
મહિલાઓએ નોંધાવ્યો વિરોધ
-
નગરપાલિકા કચેરી પર હલ્લો મચાવ્યો
-
તંત્રની પ્રશ્નના નિરાકરણની ખાતરી
ભરૂચ વોર્ડ નં. 9 અને 10ના વિસ્તારોમાં 15 દિવસથી પાણી પુરવઠો બંધ રહેતા મહિલાઓનો નગરપાલિકા કચેરીએ હલ્લો મચાવ્યો હતો ભરૂચ શહેરના વોર્ડ નં. 9 અને 10ના વેજલપુર, પારસીવાડ, દલાલ સ્ટ્રીટ, ફુરજક રોડ અને નારીયેલી બજાર સહિતના વિસ્તારોના રહેવાસીઓ છેલ્લા 15 દિવસથી પાણી વિહોણા થયા છે. નગરપાલિકા દ્વારા પુરવઠો બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.
આ વિસ્તારની સ્થિતિ એ હદે પહોંચી છે કે મહિલાઓએ આજે નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે આ પહેલા સ્ટ્રીટ લાઇટના મુદ્દે અનેકવાર ફરિયાદો કરવા છતાં ત્રણ મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ પડી છે. હવે પાણીની સમસ્યાએ રહેવાસીઓના ધૈર્યની કસોટી લીધી છે.
આ બાબતે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ પણ મહિલાઓ સાથે જોડાઈ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિને રજૂઆત કરી હતી. આ અંગે કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે સમસ્યાનું નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.આવનારા સમયમાં પ્રશ્નનું નિરાકરણ થઈ જશે.
