પાકિસ્તાનના પેશાવરમાં સ્થિત ભારતીય અભિનેતા દિલીપ કુમાર અને રાજ કપૂરના પૂર્વજોના ઘરોનું પુનર્નિર્માણ કાર્ય સોમવારે સત્તાવાર રીતે શરૂ થયું. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. પુરાતત્વ નિયામક ડૉ. અબ્દુસ સમદે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ થશે અને તેનો અંદાજિત ખર્ચ રૂ. 7 કરોડ હશે.
ખૈબર પખ્તુનખ્વા સરકારે આ પ્રોજેક્ટ માટે ભંડોળ બહાર પાડ્યું છે. આ પ્રોજેક્ટમાં ઐતિહાસિક રહેઠાણોનું માળખાકીય અને સૌંદર્યલક્ષી પુનઃસ્થાપન શામેલ છે. પ્રાંતીય પુરાતત્વ વિભાગે બંને માળખાઓને મહાન કલાકારોના જીવન અને કારકિર્દીને સમર્પિત સંગ્રહાલયોમાં રૂપાંતરિત કરવાની યોજના બનાવી છે. પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફે 13 જુલાઈ 2014 ના રોજ આ ઘરોને રાષ્ટ્રીય વારસો જાહેર કર્યા હતા.
ડૉ. સમદના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાંતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરતી વખતે હેરિટેજ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે. પ્રાંતીય સરકારના પ્રવાસન સલાહકાર ઝાહિદ ખાન શિનવારીએ જણાવ્યું હતું કે, "વિશ્વ બેંકના સમર્થનથી, આ પ્રોજેક્ટ્સ પ્રાંતના પ્રવાસન ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે."
દિલીપ કુમારનું ઘર પેશાવરના પ્રખ્યાત અને ઐતિહાસિક કિસ્સા ખ્વાની બજારના મોહલ્લા ખુદાદાદમાં છે. મોહમ્મદ યુસુફ ખાન, જે દિલીપ કુમાર તરીકે જાણીતા છે, તેમનો જન્મ ૧૧ ડિસેમ્બર, 1992ના રોજ પાકિસ્તાનના આ ઘરમાં થયો હતો. દિલીપ કુમાર ૧૯૩૦માં પોતાના પરિવાર સાથે બોમ્બે (હવે મુંબઈ) ગયા હતા.1988 માં જ્યારે દિલીપ કુમાર પાકિસ્તાન ગયા ત્યારે તેમણે પેશાવરની પણ મુલાકાત લીધી હતી અને પોતાના જૂના ઘરનો દરવાજો ચુંબન કર્યો હતો અને લોકો સાથે બાળપણની યાદો શેર કરી હતી. કપૂર હવેલી પેશાવરના દિલગરન વિસ્તારમાં છે. બોલિવૂડને ઘણા સુપરસ્ટાર આપનારા કપૂર પરિવારની એક પેઢીનો જન્મ આ હવેલીમાં થયો હતો. આ હવેલી1918 થી 1922 ની વચ્ચે બનાવવામાં આવી હતી. રાજ કપૂરનો જન્મ પણ આ હવેલીમાં થયો હતો. દેશના ભાગલા પછી તેમનો પરિવાર ભારત આવ્યો હતો.