અફરાતફરીનો માહોલ વચ્ચે લોકો સુવા અને જોલવા ગામ તરફ દોડી ગયા
ગામના 40 થી 50 લોકોને ગેસ લાગ્યો હોવાનુ સ્થાનિકોએ જણાવ્યુ હતુ
પોલીસ અને ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા
દહેજ પંથકમાં આવેલ જીએનએફસીના ટીડીઆઈ પ્લાન્ટમાં ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ગેસ લિકેજને પગલે રહીયાદ ગામના લોકો જીવ બચાવવા ભાગ્યા હતા.જ્યારે કંપનીમાં કોઈ જાનહાની થઈ છે કે નહીં એની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.ઘટના સ્થળે ફાયર ફાઈટર અને પોલીસનો કાફલા સહિત વહીવટી તંત્ર દોડી ગયુ હતુ.
વાગરાના રહિયાદ ગામ સ્થિત જીએનએફસી ટીડીઆઈ પ્લાન્ટમાં ગત રાતના 11:30 વાગ્યાની આસપાસ ટીડીઆઈ ગેસ લિકેજ થવા પામ્યો હતો.ગેસ લિકેજને પગલે કંપનીમાં અને રહીયાદ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.રહીયાદ ગામ તરફ હવા હોવાથી ઝેરી ગેસ થી બચવા ગામ લોકોએ જીવ બચાવવા સુવા ગામના રસ્તા તરફ તેમજ જોલવા ચોકડી બાજુ દોટ મૂકી હતી.ઘટના સ્થળે પોલીસ કાફલો અને ફાયર ફાઈટર દોડી આવ્યા હતા.આ લખાઈ રહ્યુ છે ત્યારે કંપનીમાં કામ કરતા કામદારો ગેસ લીકેજનો ભોગ બન્યા છે કે કેમ તેની વિગતો સપાટી પર આવી ન હતી.પરંતુ સૂત્રો દ્ધારા મળતી માહિતી મુજબ રહિયાદ ગામના 40 થી વધુ લોકોને ગેસની અસર થતા એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનુ સ્થાનિકોએ જણાવ્યુ હતુ.ગેસ ગળતર મામલે કંપનીના ગેટ ઉપર જમા થયેલા લોકોમાં ભારોભાર ગુસ્સો જોવા મળ્યો હતો.જ્યારે કાયદો વ્યવસ્થા જાળવવા ગયેલ પોલીસ સાથે ગામ લોકોને ઘર્ષણ થવા પામ્યુ હતુ. ગેસ લીકેજ થયો હોવા છતાંયે કંપની મેનેજમેન્ટ દ્ધારા બગલમાં આવેલ ગામને જાણ ન કર્યાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો.આ અંગે વાગરા મામલતદારે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે સવારે ચાર વાગ્યા સુધીમાં ગેસ લીકેજ કંટ્રોલમાં આવી ગયો હતો.ગેસ ગળતરનો ભોગ બનનાર રહીયાદ ગામના લોકો કંપની ગેટ ઉપર મોટી સંખ્યામાં બેસી જઈ સવારની પારીના કર્મીઓને કંપનીમાં પ્રવેશવા દીધા ન હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 2/11/16 ના રોજ ઝેરી ગેસ લીકેજ થવાથી 4 જેટલા લોકોના મોત નિપજ્યા હતા.