/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/Jigneshbhai.jpg)
મુખ્ય ત્રણ ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામશે
ભાજપ,કોંગ્રેસ અને બી.ટી.પી. વચ્ચે કાંટાની ટક્કર રહેશે
ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવારી ખેંચવાના છેલ્લા દિવસે એક ફોર્મ પરત ખેંચાતા ૧૭ ઉમેદવારો ચૂંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવશે. જોકે ખરાખરીનો જંગ ભાજપ,કોંગ્રેસ અને બી.ટી.પી. વચ્ચે જોવા મળશે.
લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયુ છે, ત્યારે કોણ સરકાર બનાવશે એનું આંકલન કરવા રાજકીય સમીક્ષકો લાગી ગયા છે. ચૂંટણીનો માહોલ હજુ બરાબર જામ્યો નથી. ત્યાંજ ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના અલ્તાફખાન પઠાણે ઉમેદવારી પત્ર પરત ખેંચતા કોણ ચૂંટણી જંગમાં રહેશે એનુ ચિત્ર સ્પષ્ટ થવા પામ્યું હતું.
ભરૂચ બેઠક પરથી ૧૭ ઉમેદવારો ચૂંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવશે. જોકે ૧૭ ઉમેદવારો પૈકી ભાજપના મનસુખ વસાવા, કોંગ્રેસના શેરખાન પઠાણ અને બી.ટી.પી. ના છોટુભાઈ વસાવા વચ્ચે ખરાખરીનો જંગ જામશે. હાલ તો દરેક ઉમેદવાર પોતાની જીતના દાવા સાથે પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. પરંતુ હજુ મતદારોમાં ચૂંટણીને લઈ જોમ અને જુસ્સો જોવા મળ્યો નથી. તો બીજી તરફ મતદારો ખુલીને કાંઈ બોલતા પણ નથી. આમ મતદારોની ચુપકીદીએ રાજકીય નિષ્ણાતોનું ગણિત જરૂર બગાડી નાંખ્યુ છે. હાલ તો જો અને તો વચ્ચે સૌ પોતાની જીતના કાવાદાવા કરી રહ્યા છે.