ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે ભરૂચનાં રાજપૂત છાત્રાલય ખાતે ચૂંટણીલક્ષી ઝોન બેઠકમાં હાજરી આપી હતી.
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સુરત, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાની ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી ઝોન બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરી હતી.
ભાજપનાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે મિડીયાને જણાવ્યુ હતુ કે સુરત જિલ્લામાં વિધાનસભા બેઠક પરનાં ભાજપનાં ઉમેદવાર સામે ભાજપનાં જ માંડવીનાં કુંવરજીભાઈએ અપક્ષ ઉમેદવારી કરતા તેઓને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે.
આ ઉપરાંત ભરૂચની જંબુસર બેઠક પરથી પણ ભાજપનાં દિગ્ગ્જ નેતા ખુમાનસિંહ વાંસીયાએ પણ અપક્ષ ઉમેદવારી કરી છે, તે અંગે ભરતસિંહ પરમારે પાર્ટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ તેઓએ જણાવ્યુ હતુ.