ભોજપુરી ફિલ્મ કલાકાર અને ભાજપનાં સ્ટાર પ્રચારક રવિકિશન ગુજરાતની ચૂંટણીઓમાં 7 દિવસ પ્રચાર કરશે. ભોજપુરી મતદારોની વસ્તી વાળા ક્ષેત્રમાં ડોર ટુ ડોર પ્રચાર કરીને રવિકિશન મતદારોને રિઝાવશે.
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભોજપુરી ફિલ્મ કલાકાર અને ભાજપનાં સ્ટાર પ્રચારક રવિકિશન 7 દિવસ માટે પ્રચાર કરવાની જાહેરાત તેઓએ રાજપીપળા ખાતે કરી છે. રાજપીપળામાં તેઓની ફિલ્મનું હાલ શૂટિંગ ચાલી રહ્યુ છે.
વધુમાં રવિકિશને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભોજપુરી બહુમતિવાળા વાપી, સુરત અને અમદાવાદમાં તેઓ પ્રચાર કરશે. ગુજરાત કોંગ્રેસે ગુજરાતના વિકાસને ગાંડો ગણાવી રહ્યા હોવાની બાબતે ગુજરાતીમાં જણાવ્યું હતુ કે, ગુજરાતનો વિકાસ ગાંડો નથી થયો પણ કોંગ્રેસ ગાંડી થઈ છે.અને ગુજરાતમાં ભાજપ મોટી બહુમતી થી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
જ્યારે રવિકિશને ફિલ્મ પદ્માવતીનાં વિરોધ બાબતે જણાવ્યુ હતુ કે જે લોકોને ફિલ્મ થી વાંધો છે તો પહેલા ફિલ્મ જોવી જોઈએ અને જો વાંધાજનક લાગે તો તેવા હિસ્સાને દૂર કરવો જોઈએ.