ભરૂચ તાલુકાના મહેગામ ખાતે આવેલ માહયાવંશી સમાજના શ્રધ્ધાબિંદુ સમાન સંત હરિગોંસાઇ મહારાજના સમાધિસ્થાનની આસપાસના વિસ્તારોમાં થતું મોટાપાયે થતું ગેરકાયદેસર ખોદકામ અટકાવવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનો સહિત શ્રધ્ધાળુઓએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.
સામાજીક આગેવાન મહેશભાઇ પરમારની આગેવાનીમાં જિલ્લા કલેકટરને આપેલ આવેદનમાં જણાવ્યા મુજબ મઠની આસપાસ તેમજ મહેગામ મુખ્ય રોડને અડીને લીઝ ધારકો ધ્વારા નિતિ નિયમોને નેવે મૂકી મોટા પાયે ખોદકામ થઇ રહયું છે. હાઇવા ટ્રકો ધ્વારા ઓવરલોડ માટી ભરી વહન કરવામાં આવે છે. આ માટીઉડતા આ વિસ્તારમાં સાથે પ્રદુષણ ફેલાવતા હોવાની ફરીયાદ ઉઠાવી છે. ભારદારી વાહનો અવરજવરથી કેસરોલથી મહેગામ જતો રોડ તૂટી જતા ઉંડા ખાડા પડી ગયા છે. આ માર્ગ સાંકડો હોવાના કારણે ભારદારી વાહનોની અવરજવર ના પગલે અકસ્માતનો ભય રહે છે. એટલું જ નહિં મઠ મહેગામ ખાતે આવતા શ્રધ્ધાળુઓને પણ ભારે તકલીફનો સામનો કરવો પડે છે. ગામના જાગૃત નાગરીકો લીઝધારકો સામે અવાજ ઉઠાવે તો તેમને ધાક–ધમકી આપતા હોવાની ફરિયાદ તેમણે ઉઠાવી છે. લીઝધારકોને રાજકીય આગેવાનોનું પીઠબળ હોવાથી તંત્ર તેમની સામે કોઇ પ્રકારના પગલા લેતું નથી તેવી ફરિયાદ ઉઠાવી જિલ્લા કલેકટરને મઠ મહેગામની આસપાસ થતું માટીખોદકામ અટકાવવાની માંગ આવેદનમાં ઉઠાવી છે.
સંત શ્રી હરિગોંસાઇ મહારાજની જટામાં ગરૂડ પક્ષી એ ઈંડા મૂકયા હતા
મઠમહેગામ ખાતે સંત હરગોંસાઇ મહારાજે સમાધી લેતા આ સ્થળ માહયાવંશી સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યુંછે. કહેવાય છે કે હરિગોંસાઇ મહારાજ મહેગામ ખાતે આવ્યા હતા અને ત્યાં તેમણે તેમના પત્ની મીનળબા અને શિષ્યો સાથે જીવતા સમાધિલીધી હતી સંત હરિગોસાઇ મહારાજની જટામાં ગરૂડ પક્ષીએ ઈંડા મૂકયા હતા એ ઇંડા આજે પણ મહેગામ ખાતે હોવાનું કહેવાય છે. હરીગોંસાઇ મહારાજે અનેતેમના પત્નીએ વાવેલા વૃક્ષ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અમાસના દિવસે સમાધિ લીધી હોવાના કારણે આ દિવસે ત્યાં ઉત્સવ મનાવવામાં આવે છે જેમાં ગરુડ પક્ષીના ઇંડાની અને ગોંસાઇ મહારાજના રૂદ્રાક્ષની શોભા યાત્રા કાઢવામાં આવે છે. સાથે શિવરાત્રિના દિવસે પણ અહીં મેળો ભરાય છે. જેમાં સુરત, વલસાડ, મુંબઇ, બારડોલી, વાપી સહિત વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે.