વડોદરા શહેરનાં દૂધવાળા મહોલ્લા પાસે મધરાત સુધી ચાલુ રહેતી ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવા ગયેલા મહિલા પી.એસ.આઇ. ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં ઝડપાયેલા 3 આરોપીઓનો આજે બપોરે પોલીસે હાથકડી પહેરાવીને તેઓના વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો. મહિલા પી.એસ.આઇ. ઉપર હુમલો કરનાર 3 આરોપીઓના પોલીસે કાઢેલા વરઘોડાને જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા. શહેરના ન્યાય મંદિર દૂધવાળા મહોલ્લામાં પાસે મોડી રાત સુધી ખાણી-પીણીની લારીઓ ચાલુ રહે છે. ગત મંગળવારે રાત્રે વાડી પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ. એસ.જે. તોમર સ્ટાફ સાથે લારીઓ બંધ કરાવવા માટે ગયા હતા. પોલીસે લારીઓ બંધ કરાવવા માટે જણાવતાજ મામલો ઉગ્ર બની ગયો હતો. સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
મામલો ઉગ્ર બની ગયો હોવા છતાં પોલીસે લારીઓ બંધ કરાવવા માટે સત્તા અને બળનો ઉપયોગ કરતા લોકો રોષે ભરાયા હતા. અને ટોળા પૈકી કોઇ એક વ્યક્તિએ મહિલા પી.એસ.આઇ. એસ.જે. તોમરના માથામાં લાકડીનો ફટકો મારતા નાસભાગ મચી ગઇ હતી. બીજી બાજુ ઇજા પામેલ મહિલા પી,એસ.આઇ.ને તુરતજ પોલીસ જીપમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. મહિલા પી.એસ.આઇ. એસ.જે. તોમર ઉપર હુમલો કરવાના ગુનામાં પોલીસે 3 આરોપીઓ મોહંમદ રફીક યાસીન દૂધવાલા, શાબિર ગોલાવાલા અને મોહંમદ હનીફ ગુલાબનબી દૂધવાળાની ધરપકડ કરી હતી. જે ત્રણે આરોપીઓનો પોલીસે હાથકડી પહેરાવી દૂધવાળા મહોલ્લા રોડ, ન્યાય મંદિર વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું.