ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર ડો.એસ. મુરલી ક્રિષ્નાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી છે. જે અનુસાર, 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી 2025,અને ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 3 ફેબ્રુઆરી 2025,તેમજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2025 છે.જ્યારે મતદાનની તારીખ 16 ફેબ્રુઆરી 2025 અને મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રહેશે.વધુમાં મતગણતરીની 18 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાશે.
રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડો.એસ.મુરલી ક્રિષ્નાએ જણાવ્યું છે કે, રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગર પાલિકાની 3 ખાલી પડેલી બેઠકની ચૂંટણી યોજાશે.ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ.આ સિવાય ધાનરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો. બોરસદ, સોજીત્રા જેમાં OBCની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં 19 લાખ જેટલા મતદારો મત આપશે.
ગ્રામ પંચાયતની અટવાયેલી ચૂંટણી બાબતે ડો મુરલી ક્રિષ્નાએ કહ્યું કે, ‘ઝવેરી કમિશને રાજ્ય સરકારને રિપોર્ટ રજૂ કર્યો હતો.સરકારે રાજ્ય ચૂંટણી પંચને દોઢ મહિના અગાઉ જ રિપોર્ટ આપ્યો હતો,જેની કાર્યવાહી ચાલુ છે.રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગર પાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઈ શકી નથી.
