ઉનાળાની સીઝન શરૂ થતા જ ગુજરાતી ઘરોમાં વર્ષભર ચાલે તેવા અથાણાં બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. કેરીના અથાણાં જેટલું જ લોકપ્રિય છે ‘ગુંદાનું અથાણું’. ગુંદા સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ચટપટું ગુંદાનું અથાણું બનાવવાની રીત
જરૂરી સામગ્રી:
-
ગુંદા: 500 ગ્રામ (મોટા અને તાજા)
-
રાજાપુરી કેરી (છીણેલી): 250 ગ્રામ (ગુંદામાં ભરવા માટે)
-
મેથીયા મસાલો (અથાણાંનો મસાલો): 200 ગ્રામ
-
સરસિયું અથવા સીંગતેલ: 500 ગ્રામ
-
મીઠું: જરૂર મુજબ
-
હળદર: 2 મોટી ચમચી
-
હીંગ: 1 ચમચી
બનાવવાની વિધિ :
૧. ગુંદા તૈયાર કરવાની રીત:
સૌ પ્રથમ ગુંદાને પાણીથી બરાબર ધોઈને કોરા કરી લો. હવે ગુંદાની ઉપરની ટોપી કાઢી, તેને પથ્થર કે દસ્તા વડે હળવેથી ફોડો. એક વાટકીમાં થોડું મીઠું અને હળદર મિક્સ કરો. આંગળી કે છરીની મદદથી ગુંદાની અંદરનો ચીકણો ગર્ભ અને ઠળિયો કાઢી લો. (મીઠાવાળો હાથ કરવાથી ચીકાશ હાથમાં ચોંટશે નહીં). બધા ગુંદા સાફ કરી એક બાજુ રાખી દો.
૨. મસાલો તૈયાર કરવો:
એક મોટા વાસણમાં કેરીનું છીણ લો. તેમાં મેથીયા મસાલો ઉમેરો. જો મસાલામાં મીઠું ઓછું હોય તો સ્વાદ મુજબ થોડું મીઠું અને હળદર ઉમેરી શકાય. આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો. તૈયાર થયેલા આ મસાલાને સાફ કરેલા ગુંદામાં દબાવીને ભરી દો.
૩. તેલ ગરમ કરવું:
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલમાંથી ધુમાડો નીકળે એટલે ગેસ બંધ કરી દો. તેલ થોડું ઠંડુ થાય (નવશેકું રહે) ત્યારે તેમાં હીંગ ઉમેરો. તેલને રૂમ ટેમ્પરેચર પર એકદમ ઠંડુ થવા દો.
૪. અથાણું આથવાની રીત:
મસાલો ભરેલા ગુંદાને એક કાચની બરણીમાં ભરી લો. જો મસાલો વધ્યો હોય તો તે પણ ઉપરથી નાખી શકાય. હવે તેમાં ઠંડુ થયેલું તેલ ઉમેરો. ધ્યાન રાખવું કે તેલ ગુંદાની સપાટીથી ઉપર રહેવું જોઈએ, જેથી અથાણું આખું વર્ષ બગડે નહીં.
