કેનેડાના કેલગરી સ્થિત પોર્ટેજ કોલેજમાં ભારતીય વિદ્યાર્થીઓ કે, જેઓ ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા તેમની વર્ક વિઝા અરજીઓ નકારવામાં આવ્યા બાદ વિરોધ કરી રહ્યા છે, તેઓને કાનૂની સલાહ લેવાની સલાહ આપી કોલેજે જણાવ્યું છે કે, તે આ બાબતે સ્પષ્ટતા મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

ગત તા. 21 જુલાઈના રોજ તેની વેબસાઇટ પર શેર કરાયેલા અપડેટમાં, કોલેજે જણાવ્યું હતું કે, “પોર્ટેજ કોલેજ આ બાબતે સ્પષ્ટતા માંગી રહી છે, અને સચોટ માહિતી પ્રદાન કરવા અને નવી વિગતો ઉપલબ્ધ થતાં વિદ્યાર્થીઓને માહિતગાર રાખવા માટે પ્રતિબદ્ધ છે. કોલેજે વધુમાં નોંધ્યું હતું કે, તેણે આગામી અઠવાડિયા માટે જૂથના પ્રતિનિધિઓ સાથે ફોલો-અપ મીટિંગનું આયોજન કર્યું છે. “આ મીટિંગ સંવાદ ચાલુ રાખવા, શક્ય હોય ત્યાં પ્રશ્નોના જવાબ આપવા અને પ્રાપ્ત થતી કોઈપણ નવી માહિતી શેર કરવાની તક પૂરી પાડશે,” કોલેજે જણાવ્યું હતું.

હજારો ભારતીય વિદ્યાર્થીઓએ પોર્ટેજ કોલેજના બિઝનેસ મેનેજમેન્ટ ડિપ્લોમા પ્રોગ્રામમાં નોંધણી કરાવી હતી. તેમનો કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીઓએ પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે અરજી કરી હતી, પરંતુ IRCC એ તેમની અરજીઓ નકારી કાઢી હતી, એમ કહીને કે, તેમના મુદ્દાઓ પરમિટ માટે લાયક નથી. પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનો દાવો છે કે, તા. 7 જુલાઈ પહેલા તે જ કોલેજ અને તે જ પ્રોગ્રામના અન્ય વિદ્યાર્થીઓને PGWP મંજૂરી મળી ગઈ હતી. તેમનો એવો પણ આરોપ છે કે, ઇમિગ્રેશન અધિકારીઓએ એક નિયમ બદલ્યો છે, જેના કારણે નોન-ક્રેડિટ પ્રોગ્રામ પરમિટ માટે અયોગ્ય બન્યા છે.

આ દરમિયાન, IRCC એ જણાવ્યું છે કે, કોઈ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. કેનેડિયન કોલેજે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સંબંધિત દસ્તાવેજો રાખવા કહ્યું છે. પોર્ટેજ કોલેજે તેની વેબસાઇટ પર વિદ્યાર્થીઓને આવશ્યક દસ્તાવેજો રાખવાની સલાહ આપી છે, જે ભવિષ્યની અરજીઓ, પુનર્વિચારણા માટેની વિનંતીઓ અથવા લાયક ઇમિગ્રેશન વ્યાવસાયિકની સલાહના આધારે હાથ ધરવામાં આવેલી કોઈપણ અન્ય પ્રક્રિયાઓ માટે ઉપયોગી થઈ શકે છે.