શાળા છોડી ગયેલા બાળકોને શોધી તેમને ફરી શિક્ષણના પ્રવાહ સાથે જોડવાના હેતુથી ભરૂચ જિલ્લામાં ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ અંતર્ગત કાર્યક્રમનું આયોજન રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ધોરણ 1થી 12 સુધીના 4,000 જેટલા ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શોધી તેમને પુનઃશિક્ષણ સાથે જોડવામાં આવ્યા હતા.રાજ્યના દરેક બાળકને શિક્ષણનો અધિકાર અને શિક્ષણની તક મળે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા બાળકોની ઓળખ કરી તેમને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને સર્વસમાવેશી શિક્ષણનું લક્ષ્ય સાકાર થાય તેવો છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ,  સાંસદ  મનસુખ વસાવા, ધારાસભ્ય  રમેશ મિસ્ત્રી,  અરુણસિંહ રાણા,ડી.કે.સ્વામી,રિતેશ વસાવા, કલેકટર ડો.નવનાથ ગવ્હાણે, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આરોગ્ય મંત્રીએ શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને ફરી શાળામાં લાવવાના આ પ્રયાસને મહત્વપૂર્ણ ગણાવી શિક્ષણ વિભાગના કર્મચારીઓ, શિક્ષકો અને સમગ્ર તંત્રની કામગીરીને બિરદાવી હતી.

કાર્યક્રમ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ભરૂચના કુકરવાડા રોડ પર આવેલ ગોકુળ નગરમાં રહેતી અને શાળામાં પુન: પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની હિરલ મીર અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી.સાથે જ શાળાની પણ મુલાકાત લઈ આગેવાનો અને પરિવારજનો સાથે શિક્ષણ બાબતે ચર્ચા કરી હતી. 


આ તરફ રાજકોટમાં જુનિયર ડોકટર પર અત્યાચાર મામલે પ્રફુલલ પાનસેરિયાએ કહ્યું આવી ઘટના સાંખી ન લેવાય અને જવાબદારો સામે કડક પગલા ભરાશે.ઉપરાંત રાજ્યભરમાં ફૂડ સેફટી માટે ચેકીંગ ચાલુ જ રહેશે, ખોરાકમાં ભેળસેળ કરનાર તત્વો પર લગામ કસવા આરોગ્ય મંત્રીએ આશ્વાસન આપ્યું હતું