પ્રવર્તમાન સ્થિતિમાં વરસાદની ઘટને પરિણામે પીવાના પાણી અને ઘાસચારા વિતરણની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા કલેકટર આપ્યા માર્ગદર્શક સૂચનો

દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેકટર કચેરી, ખંભાળિયા ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગૌરીબેન હાથિયા તથા ધારાસભ્ય મુળુભાઇ બેરાએ વિવિધ જનહિત પ્રશ્નોને ટોચ અગ્રતા આપી તાકીદે પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ઉપરાંત, પ્રવર્તમાન સ્થિતિમાં જિલ્લામાં વરસાદની ઘટ ને પરિણામે પશુપાલકોને ઘાસનું વિતરણ તથા ઘાસ કેન્દ્રો વધારો કરવા, બરડા જંગલ સફારી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અંતર્ગત જમીન સંપાદન અને માપણી, ભાણવડ તાલુકાના મેવાસા ગામે તળાવની કામગીરી, સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર આપવા તેમજ વીજ વિભાગના પ્રશ્નો, પ્રમોલગેશન રહેલ ક્ષતિઓ ત્વરિત દૂર કરવા, માર્ગ મરામતની કામગીરી, ભાણવડ ખાતેની વી.એમ.ઘેલાણી સરકારી હાઈસ્કૂલની જર્જરિત બિલ્ડિંગને દૂર કરવા તથા ધાર્મિક પ્રવાસન સ્થળોને વિકસિત કરવા, જનપ્રતિનિધિઓના પડતર પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા સહિતના મુદાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તદ્ઉપરાંત, લોકોપયોગી યોજનાઓ અસરકારક અમલીકરણ અને છેવાડાના માનવી સુધી કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા માટે તત્પરતા દાખવી યોગ્ય લાભાર્થીને લાભ આપવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.

ઉપરાંત, બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ વીજ પુરવઠો, માર્ગ મરામત,આરોગ્ય,સિંચાઈ, સ્વચ્છતા સહિતના વિભાગોના વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ જિલ્લાના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને તાકીદે ઉકેલ લાવવા જણાવ્યું હતું. તેમજ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી ત્વરિત કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનો આપ્યા હતાં. તેમજ પ્રવર્તમાન સ્થિતિમાં જિલ્લામાં વરસાદની ઘટને પરિણામે પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારો, ઘાસ કાર્ડ ઇસ્યૂ કરવા સહિતના મુદાઓ પર સંબંધિત વિભાગને ત્વરિત કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.

જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગૌરીબેન હાથિયા, ધારાસભ્ય મુળુભાઇ બેરા, હેમંતભાઈ ખવા, ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.જોશી, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈ, જનપ્રતિનિધિઓ સર્વે કશ્યપભાઈ ડેર, જે.કે.હાથિયા, સંજયભાઈ નકુમ, જયેશભાઈ જેઠવા, એભાભાઈ કરમૂર સહિત તાલુકા પંચાયત, નગરપાલિકાના પ્રમુખો, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.