/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/06124512/maxresdefault-74.jpg)
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામ શિખર ટાવરમાં વહેલી સવારે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી હતી.
અમદાવાદ શહેરમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે વહેલી સવારે 6:55 કલાકે બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામ શિખર ટાવરમાં ભીષણ આગ લાગી હતી. આગને પગલે આસપાસના લોકોમાં ભાગદોડ મચી હતી. કોમ્પ્લેક્ષની આસપાસ મોટા સાઇન બોર્ડ લાગેલા હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી હતી. આગની જાણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક 13 જેટલી ફાયર ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં 15 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી જોકે વહેલી સવારે દુકાનો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આગની ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ દુર્ઘટનામાં આશરે 15થી વધુ દુકાનોમાં લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. જો કે કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં ચાની કીટલી હતી તેમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી હોવાનું અનુમાન લાગવાઇ રહ્યું છે.