રાજ્યમાં કોરોના મહામારીએ સુનામીનું સ્વરૂપ લીધું છે ત્યારે સી.એમ.વિજય રૂપાણીએ વિવિધ ધર્મો-સંપ્રદાયોના સંતો-મહંતો સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે સંવાદ કર્યો હતો અને લોકો વેક્સિન લે એ માટે સંતો મહંતોને અપીલ કરવા તેઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો
ગુજરાતના વિવિધ ધર્મો-સંપ્રદાયોના સંતો-મહંતો સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે સંવાદ કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, સાધુ-સંતોના આશીર્વાદ અને લોકોના સહયોગથી જ ગુજરાત આ વિકટ પરિસ્થિતિ સામે લડી શકશે. વધુને વધુ નાગરિકો વેક્સિન લે એ માટે અપીલ કરવા તેમણે સંતોને અનુરોધ કર્યો હતો વિજયરૂપાણીએ કહ્યું હતું કે, કોરાના જેવી મહામારી સામે લડવા નાગરિકોનું મનોબળ મજબૂત રીતે ટકી રહે એ જરૂરી છે અને લોકોનું મનોબળ ટકાવી રાખવા સાધુ, સંતો, મહંતો અને ધાર્મિક વડાઓની ભૂમિકા વિશેષ મહત્વની છે. સૌ સંતોના આશીર્વાદ, માર્ગદર્શન, સૂચનો અને તમામ સહકાર આપવાની તત્પરતાથી અમારા ઉત્સાહમાં ખૂબ વધારો થયો છે. કોરાનાના પહેલા તબક્કામાં આપણને કોરાનાની સમજ પણ ન હતી. કોવિડ હોસ્પિટલ, વેન્ટીલેટરની સુવિધા પણ ન હતી. રાજ્ય પાસે તે વખતે N-95 માસ્ક પણ ઉપલબ્ધ ન હતા. વેક્સિનનો તો પ્રશ્ન જ ન હતો, કયારે આવશે તે નક્કી જ નહોતું. જયારે આજે બીજા તબક્કામાં આપણી પાસે કોવિડ સંબંધી સંશાધનાનો ઉપલબ્ધ છે. પરંતુ કોરોનાનો આંક ખૂબ ઉંચો છે ત્યારે ભવિષ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે સૌએ સાથે મળીને આયોજન કરવાની જરૂર છે. આપ સૌ સાધુ-સંતોના આશીર્વાદ અને લોકોના સહયોગથી આ પરિસ્થિતિ સામે લડવાનું છે અને જીતવાનું પણ છે.