અમદાવાદના ઓઢવ રીંગરોડ ઉપર મોડી રાત્રે અચાનક જ રસ્તામાંથી ફીણ નીકળવા લાગતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. જમીનમાંથી ફીણ બહાર નીકળતાં જ રોડની આસપાસ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. રસ્તા પરથી 20થી 25 મિનિટ સુધી ફીણ બહાર નીકળ્યું હતું. હાલ તો કોઈ કેમિકલ ગટરની લાઈનમાં નાખવામાં આવ્યું હોવાથી ફીણના સ્વરૂપમાં બહાર આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ તથા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી. આ ફીણ જમીનમાંથી કઈ રીતે બહાર નીકળ્યું? કોઈ કંપનીની લાઈન હતી કે કેમ? તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. આજે સવારે જ ઘટનાસ્થળેથી સેમ્પલો લઈ અને તેને ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.