Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ભીંત પર અંગદાનની જાગૃતિ અંગેના પોસ્ટર વાંચીને પરિવારના લોકોએ અંગદાનનો નિર્ણય કર્યો,જુઓ કેટલા લોકોને મળ્યું નવજીવન

X

ભીંત પર અંગદાનની જાગૃતિ અંગેના પોસ્ટર વાંચીને પરિવારના લોકોએ અંગદાનનો નિર્ણય કર્યો અને મોરબીના બ્રેઇનડેડ કાન્તિભાઇ ગરાળાના અંગદાનમાં મળેલી બે કિડની અને એક લીવરથી ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું છે

કાન્તિભાઇ ગરાળા સાયકલ ચલાવીને ઘરે જઇ રહ્યા હતા.રસ્તામાં એકા-એક કુતરુ આવી જતા તેઓએ સંતુલન ગુમાવ્યું અને રસ્તા પર ઢળી પડતા માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત કાન્તિભાઇને પ્રાથમિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. તબીબોએ તપાસ કરતા પરિસ્થિતિ અતિગંભીર જણાઇ આવી. તબીબોએ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા કહ્યું. ૬૨ વર્ષીય કાન્તિભાઇને ૧૦મી માર્ચના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સ્થિતિ વધુ ગંભીર બનતા આઇ.સી.યુ.માં શિફ્ટ કરાયા. આ દરમિયાન પરિવારજનો હોસ્પિટલના વેઇટીંગ એરીયામાં બેઠા હતા.

એકાએક પરિવારજનોની નજર સિવિલ હોસ્પિટલના વેઇટીંગ એરીયામાં ભીંત પર અંગદાન વિશે લગાવેલા પોસ્ટર ઉપર પડી.વિગતવાર આ પોસ્ટરમાં અંગદાન અંગેની માહિતી વાંચતા ખ્યાલ આવ્યો કે, એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગો થકી ૯ જરૂરિયાતમંદોને નવજીવન આપી શકાય છે. પરિવારજનોએ પરસ્પર અંગદાન અંગે ચર્ચા કરી. હોસ્પિટલના તબીબો દ્વારા કાન્તિભાઇના બ્રેઇનડેડ થવાના સમાચાર મળતા પરિવારજનોએ સામે ચાલીને અંગદાન અંગેની ઇચ્છા વ્યક્ત કરી.સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૧૨ મી માર્ચે બ્રેઇનડેડ કાન્તિભાઇના અંગદાન માટેના જરૂરી ટેસ્ટ કરાવ્યા બાદ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ૬ કલાકના અથાગ પરિશ્રમ બાદ બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી

Next Story