-
અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું AI-171 પ્લેન ક્રેશ
-
મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડ નજીક પ્લેન ક્રેશ થયું
-
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન
-
105ના મોત થયાની એર ઇન્ડિયા દ્વારા સત્તાવાર જાહેરાત
-
સિવિલ હોસ્પિટલમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો
-
મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રીએ લીધી ઇજાગ્રસ્તોની મુલાકાત
-
PM મોદીએ X હેન્ડલ પર દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું
-
કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી : અમિત શાહ
શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવી ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડ નજીક એર ઇન્ડિયાનું AI-171 પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 242 પેસેન્જર સવાર હતા, જ્યારે મેડિકલની બોય્ઝ હોસ્ટેલ પર પ્લેન ક્રેશ થયું ત્યાં પણ ઈન્ટર્ન ડોક્ટર હાજર હતા. જોકે, એર ઇન્ડિયા દ્વારા આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 105 લોકોના મોતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ માટે તા. 12મી જૂન-2025નો દિવસ “બ્લેક ડે” સાબિત થયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન ગેટવીક જઈ રહેલ વિમાન ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું હતું. અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં IGP કમ્પાઉન્ડ નજીક 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન કોઈક ટેકનિકલ ખામી સર્જાતા ક્રેશ થયું હતું. આ ડ્રીમ લાઇનર પ્લેન અમદાવાદ એરપોર્ટના રનવે 23 પરથી 1.38 કલાકે 322 કિલોમીટરની ઝડપે ટેકઓફ થયું હતું. જે 1.40 કલાકે એટલે કે, માત્ર 2 જ મિનિટમાં ક્રેશ થઈને બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 242 પેસેન્જર સવાર હતા. જેમાં 217 મુસાફરો પુખ્ત વયના હતા, તો 11 બાળકો અને 2 નવજાત શિશુ હતા, જ્યારે 169 ભારતીયો, 53 બ્રિટીશરો, 1 કેનેડીયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા. પ્લેન ધડાકા સાથે ક્રેશ થયા બાદ આગ ફાટી નીકળતા દૂર દૂર સુધી ધૂમાડા ગોટેગોટા જોવા મળ્યા હતા.
બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ તરફ, યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી માટે NDRF, BSF સહિત NSG કમાન્ડોની પણ મદદ લેવામાં આવી હતી. આ દુર્ઘટનાના પગલે અમદાવાદ એરપોર્ટને સાંજે 5 વાગ્યા સુધી બંધ તેમજ આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે, આ દુર્ઘટનામાં ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ બી.જે.મેડિકલની બોય્ઝ હોસ્ટેલમાં હાજર 40થી વધુ ઈન્ટર્ન ડોક્ટર સહિત 105 લોકોના મોત થયા હોવાની સત્તાવાર જાહેરાત એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા હોસ્પિટલમાં અફરાતફરી મચી હતી. પ્લેનમાં જે મુસાફરો સવાર હતા તેમના સગા વહાલા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમને પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
આ તરફ, નાગરિકોને પણ દુર્ઘટના સ્થળથી દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. તો બીજી તરફ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અમદાવાદ પોલીસ કમિશ્નર પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ધારાસભ્યો અને સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબો સાથે બેઠક યોજાય હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવવા માટે રવાના થયા હતા. PM મોદીએ X હેન્ડલ પર વિમાન દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી હતી.