અમદાવાદ: મણિનગરમાં માતા-કાકાની હત્યા કરી પુત્ર 2 દિવસ મૃતદેહ સાથે રહ્યો, પસ્તાવો થતા 3 વખત આપઘાતનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં ડબલ મર્ડરનો ચોંકાવનારો બનાવ, ઇશનપુર વિસ્તારની ઘટના, પુત્રએ માતા અને કાકાની કરી હત્યા.
અમદાવાદ ઈસનપુર વિસ્તારમાં ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આત્મહત્યા માટે બે વખત પ્રયાસ કરવા છતાં યુવકનું મોત ન થતા અંતે તેણે તેના સંબંધીને પોતે કરેલા ગુનાની જાણ કરી હતી.
મેં મારી માતા અને કાકાની હત્યા કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પરંતુ મારું મોત થઈ શકતું નથી." આ શબ્દો ઈસનપુર વિસ્તારમાં આવેલા સુમન સજની સોસાયટીમાં રહેતા વરુણ પંડ્યાના છે. વરુણે તેની માતા અને કાકાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વરુણે આ ઘટનાની જાણ તેના સબંધીને કરી હતી. જોકે, પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
બનાવ સ્થળે વરુણ લોહીલુહાણ હાલમાં જોવા મળ્યો હતો. પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. વરુણને સારવાર માટે મોકલ્યા બાદ ઘરમાં તપાસ કરતા તેની માતા વંદનાબેન અને કાકા અમુલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક જાણકારીમાં જાણવા મળ્યું છે કે સોમવારે વરુણે તેના કાકા અને માતાની હત્યા કરી પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો.
જોકે, ગળે ફાંસો ખાવાથી તેનું મૃત્યુ ન થતાં તેણે છરી વડે પેટના ભાગે ઘા માર્યા હતા. છરીના ઘા મારવા છતાં તેનું મોત થયું ન હતું. જે બાદમાં વરુણ બે દિવસ સુધી લોહીલુહાણ હાલતમાં રૂમમાં બન્ને મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. અંતે કંટાળીને તેણે તેના સગાને આ બાબતની જાણ કરી હતી.વરુણના પિતા રજની પંડ્યાનું થોડા વર્ષે પહેલા અવસાન થયું હતું. જે બાદમાં વરુણ અને તેમની માતા કાકા સાથે રહેતા હતા.વરુણે માતા અને કાકાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
બીજી તરફ વરુણ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી પરિવાર ઠપકો આપતા આવું પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે એફએસએલની મદદ લઈને વધુ કાર્યવાહી શરૂ કરી છે.