/connect-gujarat/media/post_banners/2eda6d1a81c5155ba61d326646ca48ab81f1d64fdf3dd3f7f8e803083808eb8f.jpg)
રાજ્ય સહિત અમદાવાદમાં વધતાં અકસ્માતોના કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા 3 દિવસ માટે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સીટ બેલ્ટ લગાવ્યા વગર કાર ચલાવનારને સીટ બેલ્ટના ફાયદા અને નુકશાન અંગે સમજ આપવામાં આવી હતી.
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું થોડા સમય પહેલા કાર અકસ્માતમાં નિધન થયું હતું. કારમાં પાછળ બેઠા હતા, તે સમયે તેઓએ સીટ બેલ્ટ બાંધ્યો નહોતો, જેના કારણે તેમનું અકસ્માતમાં નિધન થયું હતું. આ બનાવ બાદ અમદાવાદ પોલીસે બેઠક યોજી કારમાં બેઠેલા તમામ લોકોએ સીટ બેલ્ટ ફરજિયાત પહેરવો પડશે તેવી જાહેરાત કરી હતી. તો બીજી તરફ, કારમાં ફરજિયાત સીટ બેલ્ટ માટે અમદાવાદ પોલીસ દ્વારા આજથી 3 દિવસની ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આજે સવારથી અમદાવાદના અલગ અલગ વિસ્તારના ચાર રસ્તા અને મુખ્ય માર્ગો પર ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. જેમાં માર્ગ પરથી નીકળતા કાર ચાલકોની તપાસ કરવામાં આવી હતી. જે કાર ચાલક કે, કારમાં પાછળ બેઠેલા લોકોએ સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તેઓને સીટ બેલ્ટના ફાયદા અને સીટ બેલ્ટ ન પહેર્યો હોવાથી થતા નુકશાન અંગેની સમજ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. પરંતુ જો કાર ચાલક પોલીસની વાત નહીં માને તો તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ પોલીસની ટ્રાફિક ડ્રાઈવ ખાસ કાર ચાલક તથા તેમાં સવારી કરનાર લોકો માટે જ છે. આગળ કે, પાછળ બેઠેલા લોકો સીટ બેલ્ટનો ઉપયોગ કરે અને તેમની સલામતી રાખે. ડ્રાઈવનો ઉદ્દેશ દંડ વસુલવામાં નથી, માત્ર નાગરિકોને સમજાવવા માટે જ આ ડ્રાઈવ ચલાવવામાં આવી છે. જો સીટ બેલ્ટ ન લગાવ્યો હોય તો એર બેગ ખૂલતી નથી. પાછળ સીટમાં બેઠેલા લોકો સીટ બેલ્ટ બાંધતા નથી, જેના કારણે અકસ્માતમાં તેઓને પણ ગંભીર ઈજા થવાની સંભાવના રહેલી છે. આ ડ્રાઈવને લઈ શહેરીજનો પણ કહી રહ્યા છે કે, આ સારો નિયમ છે, જો સીટ બેલ્ટ લગાવ્યો હશે તો નુકશાનીની શક્યતા ઓછી રહેશે, ત્યારે હાલ તો દરેક કાર ચાલકે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ તેવી પોલીસે અપીલ કરી છે.