/connect-gujarat/media/post_banners/76273404788871a5ee51c9f7912866ca92ed2d145743a1243b42868535af4a94.webp)
અમદાવાદ શહેરમાં ધનતેરસની રાતે સોનાની દુકાનમાં જ કારીગરોએ શેઠને રૂમમાં બંધ કરીને દુકાનમાંથી 3 કિલો સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. દુકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસ દુકાને પહોંચી હતી, ત્યારે બહારથી દાગીનાની લૂંટ કરી કારીગરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના મોટેરા ગામમાં આવેલ અંજલી જ્વેલર્સ નામની દુકાનમાં ગઈકાલે ધનતેરસ હોવાથી રાત સુધી ગ્રાહકોની અવરજવર હતી, જે પૂરી થતાં રાતના 2 વાગે દુકાન માલિક મહેશ શાહ અને દુકાનના કારીગર સુરેન્દ્રસિંહ ઝાલા અને ચિરાગ બારોટ બધો સામાન સરખો મૂકી રહ્યા હતા. દુકાન માલિક મહેશ શાહ સ્ટ્રોંગ રૂમમાં દાગીના અને કેસ મુકવા જતા હતા, ત્યારે સુરેન્દ્ર અને ચિરાગે તેમને સ્ટ્રોંગ રૂમમાં બહારથી બંધ કરી દીધા હતા. શેઠને બંધ કરીને દુકાનમાં પડેલી સોનાના 3 કિલો દાગીનાની બંને કારીગરોએ લૂંટ ચલાવી હતી. દુકાનના માલિક રૂમમાં બંધ હતા, જેથી તેમણે પોલીસને ફોન કર્યો હતો. પોલીસ આવી ત્યારે લૂંટ થઈ ચૂકી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને દુકાન માલિક રૂમમાંથી બહાર કાઢ્યા હતા. આ મામલે દુકાન માલિકના ભાઈ આકાશ શાહે જણાવ્યું હતું કે, હું સવારે આવ્યો ત્યારે મને લૂંટ થઈ હોવાની જાણ થઈ હતી. બંને કારીગર અગાઉ અમારી બીજી દુકાનમાં નોકરી કરતા હતા. દુકાન શિફ્ટ કરતા સાથે અહીંયા આવ્યા હતા. છેલ્લા 5 વર્ષથી બંને અમારી દુકાનમાં નોકરી કરતા હતા. પોલીસ દ્વારા દુકાન માલિકની ફરિયાદ નોંધીને ચોરીના માલની વિગત મેળવવામાં આવી છે. દુકાન અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે અત્યારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.