/connect-gujarat/media/post_banners/e708f0fe9f896d764fe39790b998a722bb33e7e7be9a60f6a573fcc564de1cf5.jpg)
ચોમાસુ નજીક છે, ત્યારે અમદાવાદ શહેરમાં અલગ અલગ વોર્ડ અને વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન, રસ્તાને લઈને ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે સ્થાનિકો સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાય રહ્યા છે, ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમે આવાજ એક વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિકોની મુશ્કેલી જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના નામે ખોદકામ કરવામાં આવે છે, ત્યારે ગોતા વંદે માતરમ પર છેલ્લા 8 મહિનાથી બન્ને તરફના રોડને ડ્રેનેજ લાઈન નખાવા માટે ખોદકામ કરવામાં આવ્યા છે. ત્યારબાદ તે રોડ હજી સરખો નથી થયો, ત્યાં રોડની બીજી બાજુ જ્યાં રસ્તો સારો હતો તે નવો રસ્તો બનાવવા માટે ખોદી દીધો છે. જ્યાં અંદાજે 3 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે.
જો અચાનક વરસાદ આવી જાય અને પાણી ભરાય તો આ ખાડામાં વાહનચાલકોને પડવાની ચોક્કસ શક્યતા રહેલી છે. રોડ પર જે પ્રમાણે ધૂળ ઉડે છે, તેના કારણે વેપારીઓને વેપાર-ધંધામાં પણ મુશ્કેલી પડે છે. હાલમાં આ કામગીરીથી તમામ રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામ કરવાની ઢબ છે, તેમાં કોઈ ફેર પડતો નથી. જેના કારણે જનતાને હેરાન પરેશાન થવાનો વારો આવે છે.