Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : 'તું મારી સાથે પ્રેમસંબંધ કેમ નથી રાખતી' કહી એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર છરીના ઘા ઝીંક્યા...

એક તરફી પ્રેમમાં પાગલ લોકો ક્યારેક એવું પગલું ભરી દેતા હોય છે કે, જીવનભર માટે પસ્તાવાનો વારો આવે છે.

અમદાવાદ : તું મારી સાથે પ્રેમસંબંધ કેમ નથી રાખતી કહી એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર છરીના ઘા ઝીંક્યા...
X

એક તરફી પ્રેમમાં પાગલ લોકો ક્યારેક એવું પગલું ભરી દેતા હોય છે કે, જીવનભર માટે પસ્તાવાનો વારો આવે છે. આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા હોવા છતાં કેટલાક લોકો હજી પણ જાણે કે, સુધારવાનું નામ ન લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે આવો વધુ એક બનાવ શહેરના ગોમતીપુર વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં કામથી ઘરે પરત ફરી રહેલી મહિલાને રસ્તામાં રોકીને યુવકે, 'તું મારી સાથે પ્રેમ સંબંધ કેમ રાખતી નથી' તેમ કહીને છરીના ઘા ઝીંકી દીધા.

ગોમતીપુર વિસ્તારમાં રહેતી એક મહિલા ગઈકાલે સાંજે સાતેક વાગ્યાની આસપાસ ચાલીમાંથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન તેમના મકાનની નજીક રહેતા રાકેશ મહાવર નામનો ઈસમ તેની પાસે આવ્યો હતો. મારી સાથે પ્રેમ સંબંધ કેમ રાખતી નથી તેમ કહીને ચપ્પુ જેવા હથિયારથી જાનથી મારી નાંખવાના ઇરાદે મહિલાના ગળાના ભાગે દાઢીના નીચેના ભાગે એમ 2 ઘા મારી દેતા મહિલાએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આરોપીએ બરડાના ભાગે બીજા 2 ઘા મારી દીધા હતા. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને આસપાસના લોકો એકઠા થઈ જતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, સમગ્ર ઘટનાની પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ પૂછપરછ શરૂ કરી છે.

Next Story