વર્લ્ડ હેરિટેજ સિટી "અમદાવાદ"માં કાંકરિયા કાર્નિવલ-2022નો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ...
કાંકરિયા કાર્નિવલ-2022નો કરાયો છે ભવ્ય પ્રારંભ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કાર્નિવલનો પ્રારંભ
ન્યુ યર સેલિબ્રેશન માટે લોકોને આવશે ખૂબ મજા
અમદાવાદના કાંકરિયા ખાતે આજથી કાર્નિવલ-2022નો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ કાંકરિયા કાર્નિવલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તા. 25મી ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતિ છે. વર્ષ 2014થી સુશાસન દિવસની ઉજવણી થાય છે, ત્યારે આજે અમદાવાદના આંગણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ-2022 અને પંચમહાલ જિલ્લા આયોજિત પંચમહોત્સવ-2022નો પ્રારંભ કરાયો છે. 2008થી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ છે. કાર્નિવલ સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે. જગન્નાથ રથયાત્રા અને વર્લ્ડ હેરિટેજ સિટીની જેમ કાંકરિયા વર્લ્ડ ફેમસ મહોત્સવ બન્યો છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને અભિનંદન આપું છું. જોકે, 2 વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલ યોજાય રહ્યો છે, ત્યારે રાજ્યભરની જનતા કાંકરિયા કાર્નિવલ નિહાળે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેર આમંત્રણ પાઠવ્યું છે. તો બીજી તરફ, કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે કાંકરિયા કાર્નિવલનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જેથી અહી આવતા તમામ સહેલાણીઓ ગાઈડલાઇનનું પાલન કરે તેવી પણ AMC દ્વારા અપિલ કરવામાં આવી છે.