/connect-gujarat/media/media_files/MCUoq4PfL6T2m3S0X1Lu.png)
વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી ગુજરાતની મુલાકાતે છે. કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુદ્દીન ઓવૈસી સહિતના 31 સભ્યો અમદાવાદ સિંધુ ભવન રોડ સ્થિત એક હોટલમાં ભેગા થયા હતા.
મળેલી આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક પ્રહારો થયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. વધુમાં બેઠકમાં સંયુક્ત સંસદીય કમિટી ગુજરાત વકફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાશાસ્ત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા.
જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે સરકાર અને ગૃહ રાજ્યમંત્રી ફક્ત દેખાડો કરી રહ્યા છે.વકફ બોર્ડના સભ્યોએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન પણ સરકારે કહ્યા મુજબનું છે, અને આ પ્રેઝન્ટેશન અમારા સમર્થનમાં નથી. અમે અમારા મુદ્દાઓ પર વળગેલા છીએ અને કલેક્ટરને સત્તા આપવા મુદ્દે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું હતું કે પ્રત્યેક નાગરિકોના હિતમાં સુધારાને લગતાં રાજ્ય સરકારના તમામ સૂચનો JPC કમિટીને આપી દેવાયા છે.JPCની વાતો બહાર ન થઈ શકે પરંતુ નાગરિકોના હિતમાં જે વિષય હતા તે મુદ્દે મેં ફરજ અદા કરી છે. જોકે વકફ બોર્ડના નિયમો અને કાયદાને લઈને થયેલા શાબ્દિક પ્રહાર મુદ્દે તેમણે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહોતો.
વક્ફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે આ JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં 31 સાંસદોનો સમાવેશ થાય છે. કમિટીમાં 21 લોકસભાના અને 10 રાજ્યસભાના સાંસદો છે.