ખાલિસ્તાની આતંકી પન્નુ સામે અમદાવાદમાં FIR,વર્લ્ડ કપ દરમિયાન મોદી સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવાની ધમકી આપી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મેચ દરમિયાન હુમલો કરવા અંગેની ધમકી આપવામાં આવી હતી.

Update: 2023-09-29 06:05 GMT

ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત આગામી 4 ઓક્ટોબરથી થઈ રહી છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાવાની છે અને 5 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાવવાની છે. ત્યારે વર્લ્ડ કપ પર આતંકવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. કારણ કે, વર્લ્ડ કપની મેચ દરમિયાન હુમલો કરવા અંગેનો ઓડિયો જાહેર કરી ખાલીસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ દ્વારા આપવામાં આવી હતી. જેના પગલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આજે ગુનો નોંધ્યો છે. વર્લ્ડ કપની મેચ દરમિયાન હુમલો કરવા અંગેની આ ધમકીને પોલીસે પણ ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક પ્રિરેકોર્ડેડ વોઇસ કલીપ ફરતી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મેચ દરમિયાન હુમલો કરવા અંગેની ધમકી આપવામાં આવી હતી. શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ધમકી આપી હતી.

તેની તરફથી એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, પરંતુ આતંકવાદ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે માત્ર ખાલિસ્તાની ઝંડાઓ જ જોવા મળશે. હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો બદલો લેવામાં આવશે. પન્નુનો ઓડિયો તેના સમર્થકો અલગ-અલગ આઈડી પરથી વાઇરલ કરી રહ્યા છે. આ સાથે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, આ ઓડિયો પન્નુએ પોતે જાહેર કર્યો હતો.

Tags:    

Similar News