ભરુચ: પરિવાર સૂતું રહ્યું અને તસ્કરે હાથ સાફ કરી લીધા

Update: 2020-02-26 07:27 GMT

ભરૂચ જીલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે. એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. ભરુચ તાલુકામાં આવેલા અમલેશ્વર ગામમાં રાત્રિના સમયે પરિવારને સૂતા જોઈ તસ્કરે ઘરમાં પ્રવેશી 1.50 લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

ભરુચ તાલુકાનાં અમલેશ્વર ગામમાં આંબલીયા ખડકી ફળિયામાં સોમવારે રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો હતો. ફળિયામાં રહેતા મનીષ કનુભાઈ પટેલના ઘરને તસ્કરે નિશાન બનાવ્યું હતું. કનુભાઈનો પરિવાર સૂતો હતો તે દરમિયાન મોડી રાત્રે વાડાના ભાગેથી ખુલ્લી બારીમાંથી ઘરમાં પ્રવેશી તસ્કરે ચોરીને અંજામ આપ્યો હતો. ઘરના કબાટમાંથી સોના દાગીના સહિત 20 હજાર રૂપિયા રોકડા મળી કુલ 1.50 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

કનુભાઈના ઘરમાં સીસીટીવી કેમેરા લાગેલ હતા જેનાથી બચવા તસ્કરે કેમેરા ઉપર રૂમાલ ફેંકી તેને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે પહેલા જ ચોરીની ઘટના કેમેરામાં કંડારાઈ ગઈ હતી. જેથી પોલીસે સીસીટીવીના આધારે ડોગ સ્કવોડ અને ફોરેન્સિક એક્સપર્ટની મદદ લઇ સીસીટીવીમાં દેખાતા ટોપી અને જેકેટ પહેરેલા ઈસમને શોધવાની કવાયત હાથ ધરી છે.

Similar News