ભરૂચ: બાહુબલી ગ્રૂપનું સેવા કાર્ય, ઝૂપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારને કર્યું AC નું દાન, જાણો કેમ

Update: 2021-02-05 09:09 GMT

ભરૂચની અયોધ્યાનગર ઝૂપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારની મગજની બીમારીથી પીડાઈ રહીલ 13 માસની બાળકીને બાહુબલી ગ્રૂપ દ્વારા ACનું દાન કરવામાં આવ્યું છે. મગજના ઓપરેશન બાદ બાળકીને ઠંડા વાતાવરણની જરૂર હોય ગ્રૂપના સભ્યોએ આર્થિક સહયોગ આપી ઉત્કૃષ્ટ સેવા કાર્ય કર્યું હતું.

ભરૂચના લિંક રોડ પર આવેલ અયોધ્યાનગર ઝૂપડપટ્ટીમાં રહેતા અને શ્રમકાર્ય કરતાં વિકાસ ચૌહાણની 13 માસની દીકરી પ્રિયાંશીને હાઇડ્રોસેફાલસ નામની મગજની ગંભીર બીમારી છે. સેંકડો બાળકોમાં જ્વલ્લેજ જોવા મળતી આ બીમારીમાં બાળકના મગજનો વિકાસ થતો નથી અને તે પથારી વશ થઈ જાય છે. આ અંગેની જાણ ભરૂચના બાહુબલી ગ્રૂપને થતાં તેઓએ સરકારી યોજના અંતર્ગત બાળકીના ઓપરેશનની તૈયારી કરી હતી પરંતુ તબીબોના જણાવ્યા પ્રમાણે ઓપરેશન બાદ બાળકી ગરમ વાતાવરણમાં રહી ન શકે અને તેને ACમાં જ રાખવી પડે.

છૂટક મજૂરી પર નિર્ભર પરિવાર માટે એસ.સી. એક સ્વપ્ન સમાન જ હોય છે ત્યારે બાહુબલી ગ્રૂપના યુવાનોએ આર્થિક સહયોગ આપી AC ખરીદવામાં આવ્યું હતું. આજરોજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મ દિવસ નિમિત્તે તેઓના હસ્તે પરિવારને એસ.સી.નું દાન આપવામાં આવ્યું હતું ત્યારે લાગણી સાભાર દ્રશ્યો જોવા મળ્યા હતા. 13 માસની બાળકી સ્વસ્થ થઈ સામાન્ય બાળકોની જેમ જીવન જીવી શકે એ માટે બાહુબલી ગ્રૂપના સભ્યો દ્વારા કરવામાં આવેલ કાર્યને ધારાસભ્ય દુષ્યંત પટેલે આવકાર્યું હતું.

Tags:    

Similar News