ભરૂચ : દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિરે સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ કર્યા મા અંબાના દર્શન

Update: 2020-10-17 07:59 GMT

આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે. જોકે આ વર્ષે કોરોના મહામારીના કારણે ગરબા ભલે નહીં થઈ શકે. પરંતુ મંદિરોમાં માઈભક્તોને દર્શન કરવા માટે રાજ્ય સરકારે દિશાનિર્દેશ સાથે વિશેષ છૂટ આપી છે, ત્યારે ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

કોરોના મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ પર્વને લઈ ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં ગરબા રમવા કે, યોજવાની છૂટ આપવામાં આવી નથી. માત્ર એક કલાક માટે પૂજા-આરતીની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી માતાના મંદિરને સરકારી દિશાનિર્દેશના પાલન સાથે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

માઈભક્તોના આસ્થાના કેન્દ્રસમા ભરૂચના શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રતિવર્ષ નવરાત્રી નિમિત્તે ઘટ સ્થાપન સહિતના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી પર સરકારે રોક લગાવી હતી. જોકે ચૈત્રી નવરાત્રી પણ તેવા જ માહોલમાં પસાર થયા બાદ હવે સરકાર દ્વારા અનલોક-5માં લોકોને આંશિક છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે શનિવારના રોજથી નવરાત્રીનો પ્રારંભ થતાં ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે કોરોનાના કારણે માઈભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે મા અંબાના દૂરથી જ માતાના દર્શન કર્યા હતા. જોકે પ્રથમ નોરતે માઈભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા પણ અનુભવી હતી.

Tags:    

Similar News