ભરૂચ : નોટીસના વિવાદમાં ઇન્કમટેકસ વિભાગના ચીફ કમિશ્નર અને ખેડૂતો વચ્ચે મંત્રણા

Update: 2020-03-12 12:25 GMT

ભરૂચ જિલ્લામાં ખેડૂતોને ઇન્કમટેકસ વિભાગે આપેલી નોટીસ બાદ રોષનો માહોલ જોવા મળી રહયો છે ત્યારે ઇન્કમટેકસ વિભાગના ચીફ કમિશ્નરે ખેડૂતો સાથે મંત્રણા યોજી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

ભરૂચ જિલ્લામાં ખેડૂતોને ઇન્કમટેકસ વિભાગની નોટીસો મળતાં ઉકળતા ચરૂ જેવો માહોલ જોવા મળી રહયો છે. ખેડૂતોના આંદોલનના પગલે ઇન્કમટેકસ વિભાગના વડોદરા ખાતેના ચીફ કમિશ્નર રનજયસિંગ ભરૂચ ખાતે દોડી આવ્યાં હતાં. તેમણે ભરૂચ ડીસ્ટ્રીકટ બેંકના હોલમાં ખેડૂતો સાથે મંત્રણા કરી હતી અને નોટીસના સંદર્ભમાં માર્ગદર્શન આપ્યું હતું.

ઇન્કમટેકસ વિભાગના ચીફ કમિશ્નર રનજયસિંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જે બેંક ખાતાઓમાં 10 લાખ રૂપિયા કરતાં વધારેની રોકડ રકમ જમા થઇ છે તેના મળેલા ડેટાના આધારે નોટીસો આપવામાં આવી છે તેમાં કોઇ ખેડૂતને વ્યકતિગત રીતે નોટીસ આપવામાં આવી નથી. 10 લાખ રૂપિયાથી વધારેની રોકડ રકમ જમા કરાવનારા તમામને નોટીસ આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં જ વિવિધ બેંક ખાતાઓમાં 300 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ જમા કરાવવામાં આવી હોવાનું અમારા વિભાગના ધ્યાને આવતાં કાર્યવાહી કરવામાં આવી છે.

Similar News