અંકલેશ્વર: રેલ્વે સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં મેડીકલ વેસ્ટ મળી આવ્યો, નગર પાલિકા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
દવાખાનાં, હૉસ્પિટલ, પ્રસૂતિગૃહ વગેરે સ્થળોએ દર્દીની સારવારમાં વપરાયેલી સાધન સામગ્રીનો કચરો મેડિકલ વેસ્ટ કહેવાય છે. દરદીનાં રક્ત, પરુ, મળમૂત્ર, ઝાડા-ઊલટી, થુંક, ગળફા વગેરેમાં જાતજાતના રોગોના જીવાણુઓ હોય છે.
આ પદાર્થોને જંતુરહિત કર્યા વગર નાખી દેવામાં આવે તો હવા અને પાણીનું પ્રદુષણ થઈ રોગો ફેલાય છે ત્યારે અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલી આઈટીઆઈ નજીક કોઈ અજાણ્યા લોકો દ્વારા મેડિકલ વેસ્ટનો નગરપાલિકાની કચરા પેટી નજીક નિકાલ કરવામાં આવતા રહાદારી સહિત આજુબાજુના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વર સ્ટેશનના મુખ્ય માર્ગ પર કચરો મળતા ત્યાં ના એક સ્થાનિક નાગરિક દ્વારા નગરપાલિકા સત્તાધીશોને જાણ કરતા તાત્કાલિક પાલિકાની ટીમ ઘટના સ્થળે પોહોંચી મેડિકલ વેસ્ટના કચરાને હટાવી અને કચરો કોણે નાખ્યો તેની તપાસ હાથ ધરી હતી.