ભરૂચ : કિસનાડ ગામે મકાનમાં ફાટી નીકળી વિકરાળ આગ, ભારે જહેમતે આગ પર કાબુ મેળવાયો

Update: 2021-11-11 03:22 GMT

ભરૂચ તાલુકાના પાલેજ નજીક આવેલ કિસનાડ ગામે એક મકાનમાં વિકરાળ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પાલેજ નજીક આવેલ કિસનાડ ગામે પટેલ ફળિયામાં રહેતા હસમુખ પટેલના મકાનમાં ગત બુધવારની રાત્રે 8 વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ પડોશ તેમજ આસપાસમાં રહેતા લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. બનાવની જાણ થતાં જ ગામના સરપંચ કુણાલ પટેલ સહિત ગામ લોકો પટેલ ફળિયામાંદોડી આવ્યા હતા. જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવના પગલે ભરૂચ અને ઝનોર એન.ટી.પી.સી.માંથી ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા, ત્યારે લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ આગ કાબુ લેવામાં આવ્યો હતો. આગના કારણે મકાનમાં રહેલ તમામ ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આગ લાગવાનુ ચોક્કસ કારણ હજી સુધી જાની શકયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Tags:    

Similar News