“અમારું કામ કેમ નથી કરતા.?” કહી ભરૂચ-સાયખા ગ્રામ પંચાયતમાં તલાટીને માર મારતા તલાટી મંડળનું તંત્રને આવેદન..!

વાગરાના સાયખા ગામમાં અસામાજિક તત્વોનો આતંક, અસામાજિક તત્વો દ્વારા તલાટીને મારવામાં આવ્યો માર.

Update: 2023-07-27 13:09 GMT

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા ગામે કેટલાક અસામાજિક તત્વો દ્વારા તલાટીને માર મારવાના મામલે ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી હિમાંશુ જોષી ઉપર ચાલુ ફરજ દરમ્યાન ગામના જ કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સાયબા ગામના કેટલાક ઈસમો વરસાદી પાણીના નિકાલ અરજી લઇને આવ્યા હતા. જે અરજી ફરજ પરના તલાટી કમ મંત્રી હિમાંશુ જોષી દ્વારા સ્વીકારીને અરજી રીસીવ કરી નિયમોનુસારની કાર્યવાહી કરીને અરજીની વિગત મુજબ પાણીનો નિકાલ કરી આપવા અંગે ખાતરી આપવામાં આવી હતી. તેમ છતાં ગામના ઈસમો દ્વારા ઉશ્કેરાટ કરી “અમારૂ કામ કેમ નથી કરતા.?, અમારી સાથે જાતિનો ભેદભાવ કરો છો..”

તેમ કહી ફરજ પરના તલાટી કમ મંત્રી હિમાંશુ જોષીને ગાળો બોલી હુમલો કરી માર મારવામાં આવ્યો હતો. અને ફરીથી ગ્રામ પંચાયત કચેરીમાં આવશે, તો જાહેરમાં માર મારીશુ અને ખોટી એટ્રોસીટી સીટી ની કલમ લગાડી બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર અને ભરૂચ જીલ્લા પોલીસ તંત્રને આ રીતે કાયદો હાથ પર લઈને ખૂલ્લો પડકાર આવા ઈસમોએ આપ્યો છે, જે ખૂબ જ ગંભીર બાબત છે, ત્યારે આ મામલે વહીવટી તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના આગેવાનો અને સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Tags:    

Similar News