લોકસભાની ચુંટણી પૂર્વે રાજકોટ કોંગ્રેસ ને ફટકો પડે તેવી શક્યતા સેવાઈ રહે છે.. કોંગ્રેસ શાષિત રાજકોટ જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના ૧૨ જેટલા સભ્યો આજે ભાજપના વિજય વિશ્વાસ સંમેલન માં ભાજપ નો ખેસ ધારણ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. રાજકોટ જીલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ નીલેશ વિરાણી ગઈકાલે પડધરી ખાતે ભાજપના વર્તમાન સાંસદ અને લોકસભાના ઉમેદવાર મોહન કુંડારિયા સાથે બેઠક યોજી હતી.
કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યાર થી એટલે કે છેલ્લા ૮ મહિનાથી જીલ્લા પંચાયતના ૨૨ જેટલા સભ્યો કોંગ્રેસ માં રહી પક્ષ વિરુધ્ધ કામગીરી કરતા હતા. આ તમામ બાગી સભ્યો પૈકી ૧૧ સભ્યો વિરુધ્ધ પક્ષાંતરા મુજબ ફરિયાદ દાખલ કરી કેશ ચલાવવામાં આવી રહ્યો છે જેનો ચુકાદો આવતા તમામ ને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. રાજકોટ જીલ્લા પંચાયતના ૨૨ બાગી સભ્યો પૈકી ૬ જેટલા સભ્યો જસદણ ખાતે ભાજપના સેન્હમિલન કાર્યક્રમમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને આજે સાંજે ૧૧ જેટલા સભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
જો કે કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયતમાં જીલ્લા પંચાયતના સભ્ય અર્જુન ખાટરિયાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા એક ખોટો હાવ ઉભો કરવા ૧૧ સભ્યો ભાજપમાં જોડાશે તેવી વાતો કરવામાં આવે છે. પરંતુ કુંવરજીભાઈના કાર્યક્રમ માં ૮ સભ્યોએ ભાજપનો ખેસ પહેરી લીધો છે. આજે માત્ર ૩ થી ૪ લોકો જોડાય તેવી શક્યતા છે અને આ સભ્યો ભાજપમાં જોડાવવાથી કોઈ જ ફેર આગામી ચુંટણીમાં જોવા નહિ મળે.