ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાના ફેલાવો શરૂ : રાજયમાં 122 પોઝીટીવ કેસ
સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનના 12મા દિવસે ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનનથી કોરોના વાયરસનો ફેલાવો શરૂ થઇ ચુકયો છે. ગુજરાતમાં કોરોના પોઝીટીવના 122 જેટલા કેસ નોંધાય ચુકયાં છે.
રાજયના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, અમદાવાદમાં 8, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. નવા વધેલા કેસોની સાથે રાજયમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 122 પર પહોંચી ચુકી છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 11 લોકો તેમના જીવ ગુમાવી ચુકયાં છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામનો શખ્સ તબલીઘ જમાતની મરકજથી પરત આવ્યો હતો. બે દિવસ પહેલા બે શખ્સ સહિત 8 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી બોડેલીના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસમાંથી 72 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.
અમદાવાદમાં 53 પોઝિટિવ કેસ અને 5ના મોત, ગાંધીનગરમાં 13 પોઝિટિવ કેસ, સુરતમાં 15 પોઝિટિવ કેસ અને 2ના મોત, રાજકોટમાં 10 પોઝિટિવ કેસ, ભાવનગરમાં 11 પોઝિટિવ કેસ અને 2ના મોત, વડોદરામાં 10 પોઝિટિવ કેસ અને 1નું મોત, પોરબંદરમાં 3 અને ગીરસોમનાથમાં 2 પોઝિટિવ કેસ જ્યારે કચ્છ, મહેસાણા, પંચમહાલ,પાટણ અને છોટા ઉદેપુરમાં માં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ 122 કેસમાંથી 33 વિદેશથી આવેલા, 17 આંતરરાજ્ય અને 72 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.