સોળે કળાએ ખિલ્યું ગુજરાતના કાશ્મીર ગણાતા ઝરવાણી ધોધનું સૌદર્ય !!!

Update: 2018-07-29 12:05 GMT

નર્મદા જિલ્લાને ગુજરાતના કાશ્મીરનુ ઉપનામ મળ્યુ છે.

નર્મદા ડેમ અને નદીનાં સામા કિનારે લગભગ 8 કિ.મી ના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ રમણીય જગ્યા છે. સાતપૂડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં અદ્ભુત લાગે છે. ચારેબાજુ લીલાંછમ પર્વતો, ખેતરો અને ખળખળ વહેતા ઝરણાં અને નદી મનને તાજગીથી ભરી દે છે.

ઝરવાણી ધોધ ભલે ઉંચાઇમાં નાનો છે, પણ તેને જોવા માટે ગોઠણડુબ નદીના પાણીમાં ચાલીને જવુ પડે છે. જે એક સાહસ સાથે રોમાંચની લાગણી આપે છે. ઝરવાણી ધોધથી ઉપર જતો રસ્તો ઝરવાણી ગામ તરફ પર્વત પર જાય છે. જ્યા વન વિભાગનું રેસ્ટ હાઉસ છે. તેની પાછળ વળાંક લેતી નદીથી બનતો નેકલેસ પોઇન્ટ જોવા લાયક છે.

સાતપૂડા તથા વિંધ્યાચળની ગીરીમાળા,નર્મદા ડેમ અને ચોમાસામાં ખીલી ઉઠતી વનરાજી વચ્ચે વહેતા કુદરતી ઝરણાંના કારણે મીની કાશ્મીરનું બિરૂદ પામેલા નર્મદા જિલ્લાના પ્રાકૃતિક સૌદર્યને માણવા સહેલાણીઓ ઉમટી પડે છે. છલકાતા ડેમ સાથે પ્રવાસીઓએ નેચરલ વોટર પાર્ક ઝરવાણી અને નિનાઇ ધોધમાં છબછબીયા કરવાની મજા માણે છે. ગુજરાતનો નાનકડો વનવાસી જિલ્લો એટલે નર્મદા જિલ્લો એ જ્યા સૌથી વધુ અને મોટો વન વિસ્તાર આવેલો છે. સાતપુડા અને વિદ્યાચલની ગીરીમાળાઓ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે.

જેના કારણે ગુજરાતના કાશ્મિરનું ઉપનામ નર્મદા જિલ્લાને મળ્યુ છે. પ્રકૃતિના ખોળે સંખ્યાબંધ પ્રવાસીઓ પરિવાર સાથે વન ભોજનનો સ્વાદ માણે છે. ઝરવાણીમાં મોટી સંખ્યમાં પ્રવાસીઓ ઉમટી પડતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. નર્મદા બંધ કરતા પણ ઝરવાણી ખુબ સુંદર જગ્યા છે. તેની નીચે બેસી રહેવાનું મન થાય.બાળકો તો ઘરે જવાનું નામ લેતાં નથી. આ ધોધ એક નેચરલ વોટર પાર્કનો અહેસાસ થાય તેમ છે. સૌદર્યમાં નિનાઇ ધોધ-ઝરવાણી ધોધ પ્રવાસીઓનું માટેનું કેન્દ્ર બન્યુ છે.

Similar News