અમરેલી : વન્યજીવોનો શિકાર કરતાં 3 શિકારીઓની વન વિભાગે કરી ધરપકડ...
સસલાનો શિકાર કરવાની કોશિશ કરતા 3 જેટલા શખ્સોને વન વિભાગે ઝડપી પાડ્યા હતા.
અમરેલી જિલ્લાના જાફરાબાદ રેન્જના વઢેરા ગામે દરિયા કિનારે ઢિહા વિસ્તારમાં સસલાનો શિકાર કરતાં 3 શિકારીઓની વન વિભાગે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં વન્યજીવોનો શિકાર થતો હોવાની વન વિભાગને બાતમી મળી હતી, ત્યારે જાફરાબાદ રેન્જના વઢેરા ગામે દરિયા કિનારે ઢિહા વિસ્તારમાં કેટલાક શિકારીઓ દ્વારા સસલાને ભગાડી જાળમાં ફસાવવા માટે જાળ બાંધી હતી. તેવામાં સસલાનો શિકાર કરવાની કોશિશ કરતા 3 જેટલા શખ્સોને વન વિભાગે ઝડપી પાડ્યા હતા. વન વિભાગ દ્વારા પકડાયેલ ત્રણેય શખ્સો પાસેથી રૂ. 75 હજારનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.