અમરેલી : અવિરત વરસાદના 35 દિવસ બાદ સૂર્ય નારાયણના દર્શનથી વરાપ નીકળતા ખેડૂતો નિંદામણમાં જોતરાયા...

35 દિવસ બાદ વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ખુશી, ખેડૂતોએ ખેતરમાં ખાતર નાખવાની કામગીરી શરૂ કરી.

Update: 2023-08-01 10:48 GMT

એક તરફ અવિરત વરસાદથી જગતના તાત મુંજવણમાં મુકાયા હોય, ત્યારે ફરી ઈશ્વરે જગતના તાતની સામે જોયું છે. 35 દિવસ બાદ વરસાદે વિરામ લેતા ખેડૂતો નિંદામણ અને યુરિયા ખાતર નાખવાની કામગીરીઓ શરૂ કરી છે, ત્યારે અવિરત વરસાદ બાદ હાલ અમરેલી જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. 

એકધારા 35 દિવસથી પડતા વરસાદથી ખેતી પાકો પાણીમાં તરબતર થઈ ગયા છે. તો હજુ અમુક જગ્યાએ ખેતરો પાણીમાં તરબોળ થવાના કારણે પાક પીળા પડી ગયા છે. જેના પગલે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. પણ હવે અમરેલી જિલ્લાના ખેડૂતોને હાશકારો થાય તેમ સૂર્ય નારાયણના દર્શનથી વરાપ નીકળતા ખેડૂતો નિંદામણ કાર્યમાં જોડાયા છે. ખાતર નાખી ફરી ખેતીપાક વધુ ખીલી ઉઠે તેવા પ્રયાસો અમરેલી જિલ્લાના જગતના તાતે શરૂ કરી દીધા છે.

જોકે, સવા મહિનો જેવો સમયગાળો એકધારો વરસાદ વરસતા ખેડૂતોએ આશાઓ તૂટવા લાગી હતી. પણ ખરા ટાઈમે ઈશ્વર મહેરબાન થયા હોય ને વરાપ નીકળતા જ ખેડૂતો 400 રૂપિયાના દાડિયા મજૂરો કરીને પણ નિંદામણ કાર્યમાં લાગી ગયા છે. 

તો બીજી તરફ, યુરિયા ખાતર મળતું ન હોવાનો વસવસો પણ અમરેલી જિલ્લાના જગતના તાતને અકળાવી રહ્યો હોવાની આપવીતી જણાવી હતી. અમરેલીમાં કપાસનું સાડા ત્રણ લાખ હેકટરમાં કપાસ અને દોઢેક લાખ હેક્ટરમાં મગફળીના વાવેતર થયા બાદ અવિરત વરસાદે વિરામ લીધા બાદ જગતના તાતે હાશકારો અનુભવ્યો છે.

Tags:    

Similar News