ભાવનગર : હવેલીવાળી શેરીમાં 80 મિલકત ધારકોને ફાયર સેફ્ટીના અભાવે મનપાની નોટિસ…

ગીચ વિસ્તાર હોવાથી ફાયર વિભાગે મુશ્કેલી વચ્ચે આગ પર કાબુ મેળવ્યો હતો.

Update: 2024-05-10 11:50 GMT

ભાવનગર શહેરમાં આવેલી હવેલીવાળી શેરીમાં ગત તા. 6 મે સોમવારના રોજ વાયરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં ફાયર ફાઈટરોએ જીવ જોખમમાં મુકીને એક વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું. આ ઘટના સમયે બિલ્ડિંગમાં અગ્નિશામક તથા જીવન રક્ષક સાધન-સુવિધાઓનો અભાવ હોવાથી આગ બેકાબુ બની હતી.

જોકે આગ ઓલવાઈ તે પહેલાં મોટાભાગે બધુ બળીને ખાક થઈ ગયું હતું. આ વિસ્તાર મુખ્ય બજારમાં આવેલ હોય અને ગીચ વિસ્તાર હોવાથી ફાયર વિભાગે મુશ્કેલી વચ્ચે આગ પર કાબુ મેળવ્યો હતો.

આ સાથે ફાયર ચીફ ઓફિસરના અનુભવથી આગ વધારે ઘાતક બનતા અટકી હતી. જો આગ પર કાબુ મેળવવામાં વાર લાગી હોત તો અનેક મકાનો આગ જપેટમાં આવી ગયાનું લોકોએ અનુમાન લગાવ્યું હતું. કારણ કે, આ વિસ્તારમાં અનેક ગોડાઉન આવેલા છે, જ્યારે ફાયર વિભાગને આ વિસ્તારમાં ગોડાઉન અને કોમર્શિયલ બાંધકામો સામે આવતા 80 મિલકત ધારકોને 12 દિવસમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે નોટિસ પાઠવી છે.

Tags:    

Similar News