ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે ટેકરા ફળીયામા રહેતા ગોકુળ વસાવા નામના ૬૨ વર્ષિય વૃદ્ધને તેમના સામે ઘરે રહેતા મુકેશ વસાવાએ કોઈ કારણોસર માથાના ભાગે લાકડીનો સપાટો મારી દઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ગોકુળભાઈને માથાના ભાગેથી લોહી નીકળતું હોય તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે વાલિયા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભરૃચ સિવિલ હોસ્પીટલ ખાતે અને ભરૂચથી વડોદરા રિફર કરવા જણાવ્યું હતુ.
ભરૂચ સિવિલથી વડોદરા લઇ જતા ગોકુળભાઈનું રસ્તામાં મોત નીપજ્યું હતું. આ બનાવમાં કુસુમબેન વસાવાએ તેના પિતાની હત્યા બદલ મુકેશ વસાવા વિરૂધ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઝઘડિયા પોલીસે હત્યાના આરોપી મુકેશ વસાવાને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.