ખેડા : બનાવટી ખેડૂતોને મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ચીમકી, માતર મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત કરી

Update: 2022-08-06 15:28 GMT

ખેડા જિલ્લાના માતર મામલતદાર કચેરીની રાજ્યના મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઓચિંતી મુલાકાત લઇ દફતરોની ચકાસણી કરી નિશ્ર્વિત સમયગાળા દરમ્યાન મોટા પાયે બનાવટી ખેડૂતો દ્વારા માતર તાલુકામાં જમીન જેહાદના મૂળ સુધી પહોંચી કાયદા અન્વયે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

ખેડા જિલ્લાની માતર મામલતદાર કચેરી ખાતે મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્યમાં બનાવટી ખેડૂતો સાવધાન રહે, જે ઇસમો બનાવટી ખેડૂત બની ગયા છે. તેમના ઉપર રાજ્ય સરકાર કાયદા અન્વયે કડકમાં કડક પગલાં લેશે તથા ગુજરાત સરકારની રાજ્યના તમામ ખેડૂત પર નજર છે. જે ખેડૂત બનાવટી ખેડૂત બની રાજ્ય સરકારની યોજનાઓના લાભ લેશે તેને રાજ્ય સરકાર આકરી સજા પાઠવશે. બનાવટી ખેડૂત જે હશે તેની જમીન સરકાર હસ્તક લેવામાં આવશે. કચેરીઓ ખુલવાના સમયે જ મંત્રીએ માતર મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લઇ ચકાસણી કરી હતી. બનાવટી ખેડૂતની માહિતી ગુજરાત સરકારને હર હંમેશ મળતી હોય છે. બનાવટી ખેડૂતની મળતી માહિતી મુજબ ૨૦૧૨-૨૦૧૩માં કેટલાક કેસો જોવામાં આવ્યા છે. આ કામગીરીમાં માતરના અધિકારીઓ પર પણ આક્ષેપ આવ્યો છે, તેમજ અધિકારીઓને પણ છોડવામાં આવશે નહીં તેમ મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું. બનાવટી ડોક્યુમેન્ટ જે પણ વ્યક્તિ એ રજુ કર્યા છે, એમની સામે કોર્ટની કલમ ૪૬૫,૪૬૭,૪૬૮ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગ પણ આ કામગીરીમા મહેસુલ વિભાગ સાથે સંકલનમાં છે. મહેસૂલ મંત્રીએ વધુમાં કહ્યું છે કે, હાલની ચકાસણી જોતા ૧૭૩૦ જેટલા કેસો ચકાસવામાં આવ્યા છે. જેમાં ૬૨૮ કેસો ભારે શંકાસ્પદ જણાયા છે. એની પ્રાથમિક ચકાસણી માટે ૫૦૦ લોકોને પુરાવા રજુ કરવા માટેની નોટિસ આપવામાં આવી છે.

Tags:    

Similar News