SOU જવાનો માર્ગ બનશે મોકળો : કરજણ-ચોરંદા-માલસર અને જંબુસર-કાવી રેલ્વે ટ્રેકનું કરાશે ગેજ કન્વર્ઝન

SOU જવા માટે વૈકલ્પિક રેલ માર્ગની વર્ષોથી હતી માંગ, રેલ મંત્રાલય દ્વારા માલસરના રહીશોની માંગ સ્વીકારાય.

Update: 2023-07-15 09:53 GMT

નર્મદા જીલ્લામાં આવેલ SOU સુધી જવા માટે વડોદરા, એકતા નગર ઉપરાંત અન્ય વૈકલ્પિક રેલ માર્ગની માંગ વેસ્ટર્ન રેલ્વે તેમજ માલસર ગામના રહીશો દ્વારા કરવામાં આવી હતી, જેને આખરે રેલ મંત્રાલય દ્વારા સ્વીકારવામાં આવી છે. રેલ મંત્રાલય દ્વારા મીયાગામ-કરજણથી ચોરંદા, માલસર તેમજ જંબુસર-કાવી રેલ્વે ટ્રેકનું ગેજ કન્વર્ઝન કરવામાં આવનાર છે.

વડોદરાથી માત્ર 83 કિલો મીટરના અંતરે એકતા નગર આવેલું છે, જ્યાં વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની નિહાળવા માટે ભારતભરમાંથી જ નહીં વિદેશથી પણ સહેલાણીઓ આવતા હોય છે, ત્યારે ત્યાં પહોંચવા માટે હાલ સુરત અને વડોદરા 2 રેલ માર્ગ અને હવાઈ માર્ગ છે. જોકે, સુરત અને વડોદરા સુધી સહેલાણી રેલ કે, હવાઈ માર્ગે આવે ત્યારબાદ કાર કે, બસ મારફતે એકતા નગર પહોંચી શકાય છે.

વડોદરાથી ડભોઇ થઇ રેલ માર્ગ પણ કાર્યરત છે. પરંતુ અન્ય કોઈ રેલ માર્ગની સુવિધા ન હોવાથી કેટલીક વખત સહેલાણીઓએ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. માલસર થઇને એકતા નગર જવા માટે રેલ માર્ગ છે. પરંતુ તેનું ગેજ કન્વર્ઝન ન થયું હોવાથી તેનો ઉપયોગ કરી શકાતો નથી. જેથી માલસરના રહીશો તેમજ વેસ્ટર્ન રેલ્વે દ્વારા માલસર તેમજ કરજણના રેલ રૂટના ટ્રેકના ગેજ કન્વર્ઝનની માંગ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી હતી. જે હવે કેન્દ્રીય રેલ મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલ્વે અને માલસરના રહીશોની માંગ સ્વીકારવામાં આવી છે. 

રેલ્વે મંત્રાલય દ્વારા 2 ટ્રેકનું ગેજ કન્વર્ઝન કરવા મંજૂરી આપવામાં આવી છે. જેમાં એક મીયાગામ-કરજણથી ચોરંદા માલસરના 36.68 કિલોમીટર તેમજ જંબુસર-કાવીની 26.36 કિલોમીટર રેલ લાઈનનું ગેજ કન્વર્ઝન કરવાની મંજુરી આપવામાં આવી છે. મીયાગામ કરજણથી ચોરંદા માલસર રેલ માર્ગના ગેજ કન્વર્ઝન માટે રૂ. 449.91 કરોડની ફાળવણી કરવાં આવી છે, જ્યારે જંબુસર-કાવીના ટ્રેકના ગેજ કન્વર્ઝન માટે રૂ. 318.44 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ બન્ને રેલ માર્ગનું ગેજ કન્વર્ઝન થયા બાદ મુંબઈથી એકતા નગર આવવા તેમજ જવા માટે સીધી ટ્રેન શરૂ કરવામાં આવનાર છે.

Tags:    

Similar News