ગુજરાતમાં ફરી મતદાર યાદી સુધારણા ઝુંબેશ, ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાશે કાર્યક્રમ..!

રાજ્યમાં ચુંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આ કાર્યક્રમમાં જણાવ્યા અનુસાર, આગામી 5 એપ્રિલના રોજ સંકલિત મતદાર યાદી રજૂ કરવામાં આવશે

Update: 2023-03-23 11:05 GMT

રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચુંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આ કાર્યક્રમમાં જણાવ્યા અનુસાર, આગામી 5 એપ્રિલના રોજ સંકલિત મતદાર યાદી રજૂ કરવામાં આવશે. ત્યારબાદ હક્ક દાવાઓ અને વાંધા અરજીઓ તા. 5થી 20 એપ્રિલ દરમિયાન રજૂ કરી શકાશે. ઉલ્લેખનિય છે કે, ખાસ ઝુંબેશની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

કાયદા અને ન્યાય મંત્રાલય તરફથી એક ગેઝેટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટેની અરજીઓ નકારવામાં આવશે નહીં. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, જો કોઈ મતદાર આધાર નંબર બનાવવામાં નિષ્ફળ જશે તો મતદાર યાદીમાંથી એન્ટ્રીઓ કાઢી નાખવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચ દ્વારા વોટર આઈડી આધાર સાથે લિંક કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા મતદાર કાર્ડ અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ અગાઉ 1 એપ્રિલ, 2023 હતી. જે હવે સરકાર દ્વારા વધારીને 31 માર્ચ 2024 કરવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મતદાર આઈડી અને આધાર કાર્ડને લિંક કરવાનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે, મતદાર યાદીમાં દાખલ કરાયેલું નામ સાચું છે કે, નહીં. આ ઉપરાંત એ પણ જાણી શકાશે કે, કોઈ વ્યક્તિ એક કરતા વધુ વિસ્તારમાં મતદાર તરીકે નોંધાયેલ છે કે, નહીં. તમને જણાવી દઈએ કે, ડિસેમ્બર 2021માં લોકસભામાં ચૂંટણી કાયદા સંશોધન બિલ પસાર થયું હતું. જેમાં મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર લિંક કરવાની પરવાનગી આપવામાં આવી હતી. તમે ઘરે બેસીને પણ તમારા મતદાર IDને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો.

Tags:    

Similar News