સંત કબીરનાં સાક્ષાત્કારની અનૂભુતિ કરાવતુ કબીરવડ ભકતોની શ્રધ્ધાનું આસ્થા સ્થાનક સુવિધાઓથી સજ્જ થશે.

Update: 2016-03-05 14:10 GMT

કબીરવડની કાયાપલટ કરી સવલતોથી સજજ કરવા ચર્ચા વિચારણા કરતા કલેકટર તેમજ ધારાસભ્યો

ગુજરાત રાજ્યનાં પ્રવાસન ધામમાં સમાવિષ્ટ પાવન શલીલા માઁ નર્મદાની ગોદમાં વસેલા ભરૂચ જીલ્લાનાં કબીરવડ ધામની મુલાકાત કલેકટર ડો.વિક્રાંત પાંડે,ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ઉદ્યોગ અગ્રણીઓ,શુકલતીર્થ- કબીરવડ ગામનાં આગેવાનોએ તા-૫મીનાં રોજ મુલાકાત લીધી હતી અને સમગ્ર કબીરવડ વિસ્તારનું નિરિક્ષણ કરી કબીરવડનો સારો વિકાસ કઈ રીતે કરી શકાય તે અંગેની ચર્ચા કરી છે.

જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ કબીરવડ ખાતે યોજાયેલી બેઠકમાં જણાવ્યુ હતુ કે સંત કબીર સાહેબની આત્મશક્તિના પ્રસાદીરૂપ ભક્તિ અને શક્તિના સંકલ્પને સાકાર કરતું વિશાળ વટવૃક્ષ કે જે સમગ્ર ભકતસમુદાય માટે પૂજનીય અને યાત્રાધામ ગણાય તે કબીરવડ ભરૂચ જિલ્લા માટે આગવી ઓળખ સમાન છે. દેશ-વિદેશના હજારો ભકતો માટે શ્રધ્ધાનું કેન્દ્ર સમાન કબીરવડ ખાતે માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાથી શ્રધ્ધાળુઓ વધુમાં વધુ સારામાં સારી સવલતો જેવી કે શ્રધ્ધાળુઓ માટે રોકાણની વ્યવસ્થા, બેસવા માટે બગીચો, મનોરંજન માટેના વિવિધ સાધનો, નર્મદા કિનારે પ્લેટફોર્મ , બોટ સહિતની વિવિધ સુવિધાઓ મળી રહે તે રીતે આ તીર્થસ્થાનનો વિકાસ કરાશે ત્યારે સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ આ બાબતે પોતાને લગતી કામગીરી ત્વરિત હાથ ધરે તેવો અનુરોધ કર્યો હતો.

વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ જણાવ્યુ હતુ કે જિલ્લા કલેક્ટરના અથાગ પ્રયાસોથી કબીરવડનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે કબીરવડના વિકાસ થકી સમગ્ર દેશ અને રાજયમાં એક આગવી ઓળખ ઉભી થશે તેવી અપેક્ષા સેવી હતી.

ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યુ હતુ કે જિલ્લા કલેક્ટરએ હકારાત્મક અભિગમ દાખવી કબીરવડના વિકાસનું બીડુ ઝડપ્યુ છે ત્યારે આવનારા હજારો ભકતોનું શ્રધ્ધાકેન્દ્ર કબીરવડ એક વિશિષ્ટ નજરાણું બની રહે તેવી કામગીરી કરવા પર ખાસ ભાર મુક્યો હતો.

આજની આ મુલાકાત સાથે સાથે શુકલતીર્થ અને નર્મદા પાર્ક ખાતે પણ શ્રધ્ધાળુઓ માટે વધુ સારી સુવિધા ઉભી કરી શકાય તેનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ અને જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.

Tags:    

Similar News