છત્તીસગઢના બીજાપુરમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થઈ અથડામણ, પોલીસે 12 નક્સલીઓને કર્યા ઠાર
છત્તીસગઢના બીજાપુરથી મોટા સમાચાર આવ્યા છે. અહીં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેના ભારે ગોળીબારમાં અત્યાર સુધી 12 નક્સલીઓને ઠાર કરી દેવાયા છે.
આ ઓપરેશન ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના પીડિયા જંગલોમાં ચાલી રહ્યું છે. બીજાપુરના એસપી જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે બંને તરફથી ગોળીબાર ચાલુ છે. એવું કહેવાય છે કે 9મી મેની રાત્રે સુરક્ષા દળોને માહિતી મળી હતી કે બીજાપુરના છેલ્લા ગામ પીડિયામાં મોટી સંખ્યામાં નકસલવાદી નેતાઓ છુપાયા છે. જે બાદ તેમના વિરુદ્ધ ઓપરેશન હાથ ધરાયું હતું.
આ દરમિયાન IEDની ચપેટમાં આવવાને કારણે બે સૈનિકો ઘાયલ થયા છે, જોકે સૈનિકોની હાલત ખતરાની બહાર છે. દુર્ગમાં વધુ એક STF જવાન ઘાયલ થયો છે. ઘાયલ સૈનિકને સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યો છે.