નર્મદા : SOU વિસ્તારના 6 ગામોને ફેનસિંગ કરવાના મુદ્દે ભારે ગરમાવો, કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું

Update: 2020-05-31 12:49 GMT

નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામોને ફેનસિંગ કરવાના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે કેવડિયાના ગામોમાં કોર્ડન કરી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 જેટલા ગામોમાં તાર અને ફેનસિંગ કરવાના મામલે સ્થાનિક આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં ગત 30મી મેના રોજ ગુજરાત કોંગ્રેસના 10 આદિવાસી ધારાસભ્યો અને કોંગ્રેસના હોદ્દેદારોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો 6 ગામના આદિવાસીઓને મળવા મામલે પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો.

નર્મદા જીલ્લામાં આદિવાસીઓના આંદોલનને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને હાઈ એલર્ટ કરી જિલ્લાની તમામ બોર્ડર સીલ કરવામાં આવી છે. જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ કાફલા દ્વારા દરેક વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું, ત્યારે નર્મદા પોલીસે સંભવિત વિરોધને પગલે રાજપીપળા નજીક જીતનગર ચોકડીથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયાના સ્થાપકની પોલીસે અટકાયત કરી હતી. નર્મદા જિલ્લા પોલિસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ગામોમાં આદિવાસી સંગઠનો દ્વારા થનારા સંભવિત વિરોધને પગલે જિલ્લાના તમામ પોઇન્ટ પર પોલીસ ખડકી દેવાઈ છે. હાલ લોકડાઉન અમલી બનાવાયું છે, જેથી કોઈ પણ વ્યક્તિ રાજકીય મેળાવડા કરતા જણાશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Tags:    

Similar News