પાંચ દિવસ બાદ રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં દીપડો પાંજરે પુરાતા હાશકારો થયો હતો. આ મામલે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
ગત રવિવારના રોજ રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુમાં દિપડા દ્વારા હરણનું મારણ કરવામાં આવ્યુ હતું ત્યારે સોમવારે ફરજ પર પહોંચેલા પ્રદ્યુમન પાર્ક ઝૂના અધિકારીઓ તેમજ સ્ટાફને જાણ થઈ હતી કે ગત રાત્રીના રોજ દિપડા દ્વારા મારણ કરવામાં આવ્યું છે. જે બાદ તકેદારીના ભાગરૂપે પ્રદ્યુમન પાર્ક ઝૂને મુલાકાતીઓ માટે બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. તો ગણતરીની કલાકોમાં જ વનવિભાગની મદદથી દીપડાનું સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.
સતત 5 દિવસ સુધી દીપડા માટે વનવિભાગ અને પ્રદ્યુમન પાર્ક ઝૂ દ્વારા રાત્રિના સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દીપડાને પકડવા માટે સાત જેટલા પિંજરા પણ મારણ સાથે રાખવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ વહેલી સવારે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદય અગ્રવાલ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે, ભારતમાં ઘુસેલા દિપડાને પકડી પાડવામાં આવ્યો છે જે બાદ દીપડો પકડાઈ ગયાની તસવીર પણ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂના સીસીટીવી વાયરલ થયા હતા. જેમાં રાત્રિના નવ કલાક આસપાસ જનાવર પ્રદ્યુમન પાર્ક ઝૂના રસ્તા પર દોડતું હોય તેવું નજરે પડી રહ્યું હતું.
પ્રદ્યુમન પાર્કના અધિકારીઓ જણાવ્યું હતું કે 'અમને સંપૂર્ણપણે શંકા હતી કે દીપડો આજુબાજુના વિસ્તારમાં છે. દીપડો પોલટ્રી ફાર્મની આસપાસ ખોરાકની શોધમાં સંતાયો હશે ત્યારે અમે મારણ સાથે સાત પાંજરા મૂક્યા હતા. દીપડો મનુષ્યની હાજરીમાં ફરકતો નથી તેથી અમે આ વિસ્તારને સિક્યોરિટી વગર ખુલ્લો મૂકી દીધો હતો ત્યારે તે ઝડપાયો હતો.