MI અને KKR વચ્ચે મેચ, બીજા તબક્કામાં બંન્ને ટીમો પોતાની બીજી મેચ રમશે

Update: 2021-09-23 09:02 GMT

ઇન્ડિયન પ્રિમિયર લીગમાં વર્તમાન ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ આજે ટકરાશે. મુંબઇને ગત મેચમાં ચેન્નઇ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કોલક્તાએ પોતાની છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી હતી.

પોઇન્ટ્સ ટેબલમાં આઠ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર રહેલી મુંબઇએ બીજા તબક્કાની પણ પોતાના અંદાજમાં શરૂઆત કરી હતી પરંતુ અડધી ટુનામેન્ટ થઇ ચૂકી છે અને વર્તમાન ચેમ્પિયનને પોઇન્ટ્સ ટેબલમાં ટોચની ચાર ટીમમાં સ્થાન મેળવવા માટે જીત જરૂરી છે.

મુંબઇના મુખ્ય કોચ મહેલા જયવર્ધને કહ્યું કે નિયમિત કેપ્ટન રોહિત શર્મા કેકેઆર સામેની મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. રોહિત છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. આશા છે કે રોહિત શર્મા કેકેઆર સામેની મેચમાં મેદાનમાં ઉતરી શકે છે.

ચેન્નઇ વિરુદ્ધ 156 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા સૌરભ તિવારીને છોડીને મુંબઇનો એક પણ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. બીજી તરફ પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર કેકેઆરનો આત્મવિશ્વાસ વધ્યો છે.

ઇયોન મોર્ગનની આગેવાનીમાં કેકેઆર પોઇન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે. આરસીબી વિરુદ્ધ સ્પિનર વરુણ ચક્રવર્તી અને ઓલરાઉન્ડર આંદ્રે રસેલે શાનદાર બોલિંગ કરી ટીમને જીત અપાવી હતી. તે સિવાય શુભમન ગિલ અને વેંકટેશ ઐય્યરની બેટિંગની મદદથી સરળ જીત હાંસલ કરી હતી.આઇપીએલના ઇતિહાસમાં અત્યાર સુધીમાં મુંબઇ અને કોલકત્તાની ટીમ કુલ 28 વખત સામસામે ટકરાઇ છે. આ દરમિયાન મુંબઇની ટીમે 22 વખત જીત હાંસલ કરી છે જ્યારે કોલકત્તાને ફક્ત છ મેચમાં જીત મળી છે.

આઇપીએલ 2021ના બીજા તબક્કામાં બંન્ને ટીમો પોતાની બીજી મેચ રમશે. પ્રથમ મેચમાં મુંબઇને ચેન્નઇ સામે 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કેકેઆરએ આરસીબી સામે 9 વિકેટે વિજય હાંસલ કર્યો હતો. મુંબઇની ટીમ મેચમાં વિજયની લય મેળવવાનો પ્રયાસ કરજે જ્યારે કેકેઆર પોતાના વિજય રથને જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

Tags:    

Similar News